નિર્ભ્રાન્ત
આ ઈપુસ્તકનું નામ નિર્ભ્રાન્ત રાખ્યું છે તે એટલા માટે કે આ લખનારની યુવાનીમાં જે ભ્રાંતિ હતી તે વધુ વાંચન અને વિચાર કરવાથી નિર્મૂળ થઈ ગઈ છે. ભ્રાંતિ થવાનું કારણ શું હતું?
આપણી વિચારસરણી પર ક્યારેક અજાણતાં ખોટી દૃષ્ટિ આવી જાય છે. આપણા ચશ્મા ના કાચ (લેન્સ) પરંપરા, વારસાગત શ્રદ્ધા, ધર્મ, દેશપ્રેમ, સંસ્કૃતિપ્રેમ, વફાદારી, ઇત્યાદિ જાતજાતના હોય છે. તેમને લીધે આપણે સાચી વાત જાણી સમજી શકતા નથી કારણ કે તે આપણી દૃષ્ટિને અવરોધે છે. તે ચશ્માં ઉતારીને આત્મવિશ્વાસના લેન્સ પર ધૃષ્ટતાનો ઢોળ (coating) ચડાવ્યો હોય તેવા ચશ્માં પહેરીએ તો સત્ય પારખી શકીએ. ધૃષ્ટતા નો ઢોળ એટલા માટે કે બીજાના કુપ્રભાવ થી આંખ અંજાઈ ના જાય.
આ લખનારે તેમ કરી જોયું. પરિણામ અહીં રજુ કરેલા લખાણોમાં વાંચી શકશો. આપે સહમત થવાનું આવશ્યક નથી. પુરેપુરા વિરોધી વિચારો ધરાવતા હો તો પણ એટલી જ વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું બંધન હોય તો તે ફગાવી દઈ તમે પોતે જ નિર્ણય કરો. તમારે, મારા કૂવા ના સહિત, કોઈના પણ કૂવા ના દેડકા થવાની જરૂર નથી. તમે પોતે વિચાર-આકાશ ના એવા ગગનવિહારી રાજહંસ બની શકો છો કે જે સમુદ્રથી શરુ કરીને હિમાલયને વટાવી પાર ઉડી શકે.
આ લખનાર તો એવા દેડકા જેવો છે જે વહેતી નદીના નિર્મળ પાણીમાં તર્યા કરે છે અને અવારનવાર જમીન પર પણ આંટો મારી આવે છે. અને નદીઓના પાણીમાં તેમજ બંને કાંઠે જમીન પર નદીના મૂળ થી મુખ સુધીનું બધું ચકાસી આવે છે. કોઈ મગર કે અજગર એને ગળી તો જુએ, તેનું પેટ ફાડીને બહાર આવે.
મારા મંતવ્યો એક ડબ્બામાં રાખું છું. તે ડબ્બાના ત્રણ અંગ છે, સત્ય, ન્યાય અને માણસાઈ.
સત્ય: ગોળાકાર તળિયું, મજબૂત, અતૂટ અને ઝૂકી ના જાય તેવું
ન્યાય: તળિયા ની ધાર પર મર્યાદા, નિષ્પક્ષ, કેવળ સત્ય પર નિર્ભર, કલ્યાણકારી
માણસાઈ: ઢાંકણું, તટસ્થ, બધાના હિત સાચવનાર, વિવાદોથી અલગ
તેમાંથી બે હોય પણ ત્રીજું ના હોય તો સુગંધ આવી શકે પણ જલ્દી ઉડી જાય, નિરુપયોગી થઇ જાય.
અહીં જે લખાણો રજુ કર્યા છે તે નિબંધ કે લેખ નથી, એક જુદા પ્રકારના ચર્ચાપત્રો ગણી શકાય. આશય એવો છે કે આપનું કુતુહલ જાગૃત થાય અને સ્વતંત્ર વિચાર કરવા પ્રોત્સાહન મળે.
કાનમાં કહું? ના રે ના, આ વાતો નથી ગંદી કે નથી ગુપ્ત. છે તો છાપરે ચડી પોકારવા જેવી, જો છાપરું હોય તો. કે લાખો ચોપાનિયા છપાવી વહેંચવા જેવી છે. પણ તેનાથી પ્રદુષણ થાય. મોટેથી બોલું તો પણ બીજા બધા પડઘમ ના શોરબકોર માં સત્યનો ઝીણો અવાજ ડૂબી જાય. માટે કહું છું આ ઇબુક ખોલીને વાંચી જ લો નિરાંતે.
મારી વેબસાઈટ (https://sites.google.com/site/tatoodi/home) પર પચાસેક પોસ્ટ ગુજરાતીમાં અને બીજી પચાસેક પોસ્ટ અંગ્રેજીમાં છે. તેમાંથી કેટલીક એકબીજાના અનુવાદ જેવી છે, બીજી ઘણી તેવી નથી. આ ઈબુકમાં થોડી ગુજરાતી પોસ્ટ રજૂ કરી છે. ઉગ્ર વિવાદ શરુ કરે તેવી પોસ્ટ બાકાત રાખી છે. જેમને રસ કે કુતુહલ હોય તેઓ વેબસાઈટ પર વાંચી શકે છે.
આભાર
પહેલો આભાર મારા મિત્ર શ્રી અભિલાષ ગાંધીનો માનવો પડે. તેમણે જ સૂચન કરેલું કે મારે મારા મંતવ્યો લખી રાખવા જોઈએ. પછી મારી વેબસાઈટ પણ તેમણે જ ચાલુ કરી આપી અને મેં કરેલી ગરબડ સુધારી આપી હતી.
બીજો આભાર મારા મિત્ર અને માર્ગદર્શક (mentor), જાણીતા પુસ્તક Culture Can Kill ના લેખક શ્રી સુબોધ શાહનો માનું છું. તેમના પ્રોત્સાહન વિના આ ઇબુકનો વિચાર મેં તો માંડી વાળેલો હતો.
સૌથી અગત્યનું શ્રેય શ્રી ગોવિંદભાઇ મારુને મળે. એક બીજી સંસ્થાએ છાપેલી મારી મર્યાદિત ફેલાવા વાળી પુસ્તિકા જોઈને આ ઇબુક પ્રસિદ્ધ કરવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી અને ઉત્તમ રીતે પાર પાડી.