વિદ્યાશાખામાં અભ્યાસ કરતા બી.એડ્. (પ્રથમ વર્ષ) વિદ્યાર્થીઓ માટે અમદાવાદ શહેરની વિવિધ શાળાઓમાં ચાર દિવસ માટે સ્થાનિક પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીએ પોતાના બન્ને વિષયમાં બે પાઠ આપ્યા હતા અને ચાર અવલોકન કર્યાં હતાં. સૌ અધ્યાપકઓ જરૂરી સૂચનો કરીને પ્રશિક્ષણાર્થીઓની વ્યવસાયિક સજ્જતા કેવી રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વિદ્યાશાખામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અધ્યક્ષથી માંડીને સેવક સુધીની ભૂમિકાઓ ભજવી હતી. પ્રાર્થના કાર્યક્રમમાં શિક્ષક દિનનું મહત્ત્વ રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શિક્ષકનું મહત્ત્વ અને શ્રેષ્ઠ શિક્ષક કોને કહેવાય તે અંગે વક્તવ્યો આપીને મહાન શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને અંજલી આપી હતી.
વિદ્યાશાખામાં બી.એડ્.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને વધુ સારી રીતે સમજી શકે તેવા હેતુથી ગ્રામ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની ઉત્તમ કહી શકાય તેવી ૯ ઉત્તર બુનિયાદી શાળાઓમાં આ શિબિર યોજાયો હતો. પ્રત્યેક ટુકડીમાં વિદ્યાશાખાના એક અધ્યાપકે માર્ગદર્શકની ભૂમિકા ભજવી હતી.
મહાત્મા ગાંધીના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવાની સાથે જ વિદ્યાર્થીઓ ગ્રામજીવન અને ગામડાના પડકારોને પ્રત્યક્ષ અનુભવી શકે તેવા હેતુથી ચાર દિવસ માટે પદયાત્રા યોજાઈ હતી. વિદ્યાશાખાના બધા જ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ૯ ટુકડીમાં વહેચાઈને આ પદયાત્રા કરી હતી.
તારીખ ૨૭ સપ્ટેમ્બરના રોજ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ દિવસે શિક્ષણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ મળીને મા જગદંબાની આરતી ઉતારી હતી અને સમૂહમાં ગરબા ગાયન કર્યું હતું. પરિવારના સૌ સભ્યોએ મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમની સફળતા માટે પ્રો. છનાભાઈ ભીંસરાનું માર્ગદર્શન સાંપડ્યું હતું.