તા. ૨૨-૭-૧૯

પાઠ્યવસ્તુનું વાચન અને ચિંતનાત્મક અભિવ્યક્તિ કાર્યશાળા :

શિક્ષણ વિદ્યાશાખામાં બી.એડ્. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે તા ૨૨-૭-૧૯ ના રોજ પાઠ્યવસ્તુનું વાચન અને ચિંતનાત્મક અભિવ્યક્તિ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ચિંતનાત્મક વાચન કરી અભિવ્યક્તિ તરફ પ્રેરિત કરવાનો હતો. તેમાં ડૉ. નિલેશ કાપડિયાએ શિક્ષક-પ્રશિક્ષણમાં વાચન અને ચિંતનાત્મક અભિવ્યક્તિની આવશ્યકતા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ વિદ્યાર્થીઓને આદર્શવાચનની અગત્ય જણાવી આદર્શવાચન કરતી વખતે ધ્યાનમાં રાખવાની વિગતો પ્રાયોગિક કાર્ય દ્વારા સમજાવી હતી. ડૉ. મહેશ નારાયણ દીક્ષિત દ્વારા વિદ્યાર્થીઓને ચિંતનાત્મક અભિવ્યક્તિની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. અંતે જૂથકાર્ય દ્વારા વિદ્યાર્થીઓને ચિંતનાત્મક અભિવ્યક્તિની તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમના આયોજક તરીકે ડૉ. મહેશ નારાયણ દીક્ષિત અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


તા. ૨૨-૭-૧૯

પાઠ્યવસ્તુનું વાચન અને ચિંતનાત્મક અભિવ્યક્તિ કાર્યશાળા :

શિક્ષણ વિદ્યાશાખામાં બી.એડ્. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે તા ૨૨-૭-૧૯ ના રોજ પાઠ્યવસ્તુનું વાચન અને ચિંતનાત્મક અભિવ્યક્તિ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ચિંતનાત્મક વાચન કરી અભિવ્યક્તિ તરફ પ્રેરિત કરવાનો હતો. તેમાં ડૉ. નિલેશ કાપડિયાએ શિક્ષક-પ્રશિક્ષણમાં વાચન અને ચિંતનાત્મક અભિવ્યક્તિની આવશ્યકતા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ વિદ્યાર્થીઓને આદર્શવાચનની અગત્ય જણાવી આદર્શવાચન કરતી વખતે ધ્યાનમાં રાખવાની વિગતો પ્રાયોગિક કાર્ય દ્વારા સમજાવી હતી. ડૉ. મહેશ નારાયણ દીક્ષિત દ્વારા વિદ્યાર્થીઓને ચિંતનાત્મક અભિવ્યક્તિની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. અંતે જૂથકાર્ય દ્વારા વિદ્યાર્થીઓને ચિંતનાત્મક અભિવ્યક્તિની તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમના આયોજક તરીકે ડૉ. મહેશ નારાયણ દીક્ષિત અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


તા. ૨૨-૭-૧૯

દિન વિશેષ 'કવિશ્રી ઉમાશંકર જોશી જન્મજયંતી' :

તારીખ ૨૨-૭-૧૯ના રોજ વિદ્યાશાખામાં કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. પ્રશિક્ષણાર્થીઓએ ઉમાશંકર જોશીના જીવન અને કવન વિશે રસપ્રદ માહિતી રજૂ કરી હતી. કવિના જીવન આધારિત દસ્તાવેજી ફિલ્મ પણ દેખાડવામાં આવી હતી. તેમની કવિતાઓનું ગાન કરવામાં આવ્યું હતું. અંતમા ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ કવિશ્રી ઉમાશંકર જોશીની વ્યક્તિત્વની વિશેષતાઓ વિશે વાત કરીને સમાપન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી શંકર રાવત દ્વારા કરવામાં આવ્યું હતું.


તા. ૧૬-૭-૧૯

દિન વિશેષ 'ગુરુપૂર્ણિમા' :

શિક્ષણ વિદ્યાશાખામાં તા. ૧૬-૭-૧૯ને મંગળવારના રોજ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુમહિમાનું ગાન કરતા ભજન વડે ઉજવણીનો પ્રારંભ થયો હતો. એમ.એડ્.ના વિદ્યાર્થીમિત્રો ઈશ્વરભાઈ, સેજલબહેન અને સૈયદભાઈએ અવસરને અનુરૂપ વક્તવ્યો આપ્યા હતા. ડૉ.નીતિનકુમાર ઢાઢોદરાએ આધુનિક સમયમાં ગુરુની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું હતું કે જે કંઠી બાંધે તે નહીં, પૂર્વગ્રહની કંઠી તોડે તે જ સાચો ગુરુ. શિક્ષણ વિદ્યાશાખાના અધ્યક્ષશ્રી પ્રો. ભરત જોશીએ પ્રાસંગિક વક્તવ્ય આપતા કહ્યું હતું ગુરુત્ત્વ એ આદેશથી આદર મેળવવાની નહીં, અંતરથી આદર મેળવવાની બાબત છે. આ પાવનપર્વ નિમિત્તે વિદ્યાપીઠના કુલનાયકશ્રી પ્રો. અનામિક શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બી.એડ્. અને એમ.એડ્.માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને ગુરુનો મહિમા સમજાવીને તેમને ભારતનું ભાવિ ઘડવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.


તા. ૧૩-૭-૧૯

મહાસફાઈ કાર્યક્રમ :

વિદ્યાર્થીઓ સ્વચ્છતાની કેળવણી પ્રાપ્ત કરે અને સ્વચ્છતાગ્રહી બને તેવા હેતુથી શિક્ષણ વિદ્યાશાખામાં મહાસફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનાં આયોજન અને અમલીકરણમાં ગૃહપાલ ડૉ. સંદીપ ગોસ્વામીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અલ્પાહર કરીને વિદ્યાશાખાના પરિસરને સ્વચ્છ કરવામાં સૌ અધ્યાપકો અને પ્રશિક્ષણાર્થીઓ જોડાયા હતા.


તા.૧૧-૭-૧૯

દિન વિશેષ 'વિશ્વ વસતી દિન' :

૧૧ જુલાઈ, ૨૦૧૯ના રોજ શિક્ષણ વિદ્યાશાખામાં વિશ્વ વસતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ઉપાસના દરમિયાન અતિથિ વિશેષ ડૉ. રૂપાભાઈ માલકિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાનાં વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે દરરોજ એક તાલુકા જેટલી વસતી દેશમાં વધી રહી છે. જેટલી ઝડપે વસતી વધે છે તેટલી ઝડપે આપણે સ્રોતો અને સુવિધાઓ પૂરી પાડી શકતા નથી. વધતી જતી વસતીને લીધે જન્મતી અનેક સમસ્યાઓ તરફ ભાવિ શિક્ષકોનું ધ્યાન દોર્યું હતું. વસતી નિયંત્રણમાં શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. કાર્યક્રમનું સંયોજન પ્રો. દીપુબા દેવડાએ કર્યું હતું.


તા. ૧૧-૭-૧૯ થી ૧૨-૭-૧૯

હસ્તાક્ષર અને જોડણી સુધારણા કાર્યક્રમ :

શિક્ષણ વિદ્યાશાખામાં તારીખ ૧૧-૭-૧૯ થી ૧૨-૭-૧૯ દરમિયાન 'હસ્તાક્ષર અને જોડણી સુધારણા કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહનું અધ્યક્ષ સ્થાન ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો. ઉષાબેન ઉપાધ્યાયે શોભાવ્યું હતું. અધ્યક્ષીય ઉદ્બોધન કરતા તેમણે માતૃભાષા અને જોડણીના મહત્ત્વ વિષયક વિચારો રજૂ કર્યા હતા. સોશિયલ મીડિયાને કારણે ભાષા અને જોડણી વિશે પ્રવર્તતી અંધાધૂંધી વિશે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પ્રથમ બેઠકમાં શ્રી ઉમાકાંત રાજ્યગુરુએ જોડણીનાં નિયમોની વાર્તાકથન પદ્ધતિ દ્વારા સમજ આપી હતી. દ્વિતીય બેઠકમાં ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ હસ્તાક્ષર સુધારણાની કૂંચીઓ રજૂ કરી હતી. તેમણે હસ્તાક્ષર સુધારવાની કેટલીક પ્રયુક્તિઓ વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી. ત્યારબાદ ત્રીજી બેઠકમાં શ્રી ઉમાકાંત રાજ્યગુરુએ જોડણીના નિયમો વિશે વધુ સમજ પૂરી પાડીને મા, માતૃભૂમિ અને માતૃભાષાની ઉપેક્ષા ન કરવાની પ્રેરણા આપી હતી.

કાર્યક્રમના બીજા દિવસનો પ્રારંભ વિદ્યાર્થિની બહેન રિદ્ધિ પેટલના અહેવાલ વાચનથી થયો હતો. પ્રથમ બેઠકમાં ડૉ. સંજય મકવાણાએ અનુસ્વાર ક્યાં હોય અને ક્યારે હોય તેના વિશે વ્યાકરણીય અને ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પૂરો પાડ્યો હતો. બીજી બેઠકમાં ડૉ. અશોક પરમારે શ્યામ ફલક નોંધને સુંદર-સુવાચ્ય બનાવવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતોની છણાવટ કરી હતી. ત્યારબાદ તૃતીય બેઠકમાં ડૉ. નિલેશ કાપડિયાએ શબ્દકોશ ભગવત ગોમંડલનો ઓનલાઈન ઉપયોગ અને વિનિયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શક પ્રવચન આપ્યું હતું. વિદ્યાર્થીઓના સુખદ પ્રતિભાવો સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કાર્યક્રમનું આયોજન ડૉ. અશોક પરમાર, ડૉ. નિલેશ કાપડિયા અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ કર્યું હતું.


તા. ૯-૭-૧૯ થી ૧૦-૭-૧૯

સંવેદનશીલ નાગરિકત્વ કાર્યક્રમ :

તારીખ ૯-૭-૧૯ થી ૧૦-૭-૧૯ દરમિયાન ભારતીય સમુદાય શિક્ષણ સંઘ દ્વારા શિક્ષણ વિદ્યાશાખામાં 'સંવેદનશીલ નાગરિકત્વ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સંવેદનશીલ નાગરિક બનાવવાનો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન વિદ્યાશાખાના અધ્યક્ષ પ્રો. ભરત જોશીએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આમુખમાં લિખિત ગુણો કેળવવા માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમની પ્રથમ બેઠકમાં પ્રો. હેમંત શાહે આમુખ અને તેમાં સૂચિત મૂલ્યો વિશે રસપ્રદ ચર્ચા કરી હતી. દ્વિતીય બેઠકમાં ડૉ. મંદાબેન પરીખે ભારતના બંધારણનો પરિચય આપી વિદ્યાર્થીઓને ફરજો પ્રત્યે સભાન કર્યા હતા. તૃતીય બેઠકમાં પ્રો. જયપ્રકાશ પંડ્યાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે છણાવટ કરીને તેમાં સૂચિત માતૃભાષા દ્વારા શિક્ષણ, ઉદ્યોગ, બુનિયાદી શિક્ષણ વિષયક મુદ્દાઓને ઉજાગર કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓને ચાર જૂથમાં વર્ગીકૃત કરીને જૂથચર્ચા યોજવામાં આવી હતી. ચોથી બેઠકમાં શ્રી ડંકેશ ઓઝાએ ભારતીય બંધારણ અને તે સામેના પડકારો વિશે રસપ્રદ સમજૂતી આપી હતી.

કાર્યક્રમના બીજા દિવસનો પ્રારંભ પ્રાર્થના અને અહેવાલ વાચનથી થયો હતો. પ્રથમ બેઠકમાં પ્રો. પ્રેમ આનંદ મિશ્રએ નાગરિકત્વ અને વૈશ્વિક પ્રવાહોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. બીજી બેઠકમાં ડૉ. મંદાબેન પરીખે જૂથચર્ચાની પીઠિકા રચી વિદ્યાર્થીઓને જૂથચર્ચા માટે પ્રેરિત કર્યા હતા. તૃતીય બેઠકમાં જાણીતા પત્રકાર ઉર્વીશ કોઠારીએ નાગરિક સામે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે જોવા મળતા પડકારો વિશે ચોટદાર વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાર્થીઓના પ્રતિભાવો સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંયોજન શ્રી વિક્રમ ચૌહાણે કર્યું હતું.

તા. ૪-૭-૧૯ થી ૬-૭-૧૯

અભિમુખતા શિબિર :

શિક્ષણ વિદ્યાશાખામાં બી.એડ્. અને એમ.એડ્.માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ ગૂજરાત વિદ્યાપીઠ, વિદ્યાપીઠના ઉદ્દેશ્યો અને તેની શિક્ષણ પ્રણાલીથી પરિચિત થાય તેવા હેતુ સાથે તારીખ ૪-૭-૧૯ થી ૬-૭-૧૯ દરમિયાન અભિમુખતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ ૪-૭-૧૯ને ગુરુવારના રોજ અભિમુખતા શિબિરના પ્રથમ દિવસે સવારના ૫-૩૦ કલાકે પ્રભાતફેરીથી આ શિબિરનો પ્રારંભ થયો હતો. શ્રી રમેશભાઈ બારોટ, શ્રી સંદીપ ગોસ્વામી અને ડૉ. નિલેશ કાપડિયાના નેતૃત્વ હેઠળ પ્રભાતફેરી ગૂજરાત વિદ્યાપીઠ પરીસરમાં કરવામાં આવી હતી. પ્રથમ બેઠકમાં ઉદ્યોગ શિક્ષકો ડૉ. પંકજ પટેલ અને શ્રી અશોક મકવાણાએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ અને તેના મહત્ત્વ વિશે સમજ આપી હતી. ત્યારબાદ દ્વિતીય બેઠકમાં પ્રો. લાલજીભાઈ પટેલે અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો પરસ્પર પરિચય કરાવ્યો હતો. તૃતીય બેઠક દરમિયાન વિદ્યાશાખાના પૂર્વ પ્રાધ્યાપક ડૉ. કોકીલાબેન પારેખ વિદ્યાપીઠના કર્ણધરોનો પરિચય આપ્યો હતો. ચોથી બેઠકમાં પ્રાણજીવન છાત્રાલયનાં ગૃહપાલ ડૉ. સંદીપ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ માટે પ્રેરિત કર્યા હતા. અને પાંચમી બેઠકમાં ડૉ. કપિલ દેશવાલે વિદ્યાર્થીઓને ખાદી, ખાદીનું અર્થશાસ્ત્ર અને તેના મહત્ત્વ વિશે સમજ આપી હતી. ભોજન વિરામ બાદ રાત્રે વિદ્યાર્થીઓના નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જ શિબિરનો પ્રથમ દિવસ પૂર્ણ થયો હતો.

તારીખ ૫-૭-૧૯ના રોજ પ્રભાતફેરીમાં શ્રી રમેશભાઈ બારોટ, શ્રી સંદીપ ગોસ્વામી, પ્રો. ડાહ્યાભાઈ પટેલ અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરા જોડાયા હતા. પ્રથમ બેઠકમાં યોગ વિભાગના અધ્યક્ષ ડૉ. બિમાન પાલે યોગ અને સ્વાસ્થ્ય પર મનનીય વિચારો રજૂ કર્યા હતા. ઉપાસના બાદ બીજી બેઠકમાં શ્રી રમેશભાઈ બારોટ અને ડૉ. સંદીપ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ગાંધીજીનો સફાઈ પ્રત્યેનો દૃષ્ટિકોણ સમજાવ્યો હતો. તેઓએ વિદ્યાર્થીઓને સફાઈ સાધન નિર્માણનું નિદર્શન પૂરું પાડ્યું હતું. તૃતીય બેઠકમાં ડૉ. નિલેશ કાપડિયાએ પ્રાર્થના અને ગાંધીજી વિષયક વિચારોની રજૂઆત કરી હતી. ચોથી બેઠકમાં શિક્ષણ વિદ્યાશાખાના અધ્યક્ષ પ્રો. ભરત જોશીએ શિક્ષણ અને ચારિત્ર ઘડતર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો હતો. પાંચમી બેઠકમાં વિદ્યાર્થીઓએ વિદ્યાપીઠ પરિસરનાં મહત્ત્વનાં સ્થળો જેવાં કે પુસ્તકાલય, આદીવાસી સંગ્રહાલય, મોરારજી દેસાઈ સંગ્રહાલયની મુલાકાત કરી હતી. ભોજન વિરામ બાદ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

તારીખ ૬-૭-૧૯ના રોજ પ્રભાતફેરીમાં શ્રી રમેશભાઈ બારોટ, શ્રી સંદીપ ગોસ્વામી અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરા જોડાયા હતા. ડૉ. મહેશ દીક્ષિત દ્વારા વિદ્યાર્થીઓને યોગાસનોનું નિદર્શન આપવામાં આવ્યું હતું. પ્રથમ બેઠકમાં ઈજનેરી વિભાગના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા જળસંચય વિષયક પ્રેરણાત્મક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે વિદ્યાપીઠની જળસંચય વ્યવસ્થાનો પરિચય કરવ્યો હતો. દ્વિતીય બેઠકમાં પ્રો. દીપુબા દેવડા અને ડૉ. શીતલબેન રાવતે વિદ્યાર્થીઓને સહશિક્ષણ અને યુવાવસ્થા વિષયક વાર્તાલાપ કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના પ્રતિભાવો સાથે શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું.


તા. ૨૭-૬-૧૯

'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯' ના મુસદ્દા પર સંગોષ્ઠી :

ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણ વિદ્યાશાખા દ્વારા તારીખ ૨૭-૬-૧૯ના રોજ 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯' ના મુસદ્દા પર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલનાયક પ્રો. અનામિક શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સંગોષ્ઠીમાં કા. કુલસચિવ પ્રો. ભરત જોશી સહિત વિવિધ વિભાગના અધ્યાપકોએ સક્રિય સહભાગીદારી કરી હતી. આ સંગોષ્ઠીમાં ૬૨ સહભાગીઓ જોડાયા હતા. શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપકોએ મુસદ્દામાં સમાવિષ્ટ ઉચ્ચ શિક્ષણ વિષયક વિભિન્ન પ્રકરણોની છણાવટપૂર્ણ રજૂઆત કરી સૂચનો પણ કર્યા હતા. સંગોષ્ઠી દરમિયાન સહભાગીઓએ મુસદ્દાના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. સહભાગીઓમાંથી પણ અમૂલ્ય સૂચનો પ્રાપ્ત થયા હતા. સંગોષ્ઠીને અંતે પ્રત્યેક સૂચનોનું સંકલન કરીને તેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો મોકલવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રો. જિજ્ઞેશ પટેલ, ડૉ. મહેશ દીક્ષિત અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ કર્યું હતું.