જ્ઞાન-વિજ્ઞાન- યોગ

અધ્યાય સાતમો

શ્રીભગવાન બોલ્યા :

આસક્ત મુજમાં, મારા આશ્રયે યોગ યોજતો,

જેમ સમગ્ર નિ:શંક મને જાણીશ, તે સૂણ. ૧/૭


વિજ્ઞાન સાથ આ જ્ઞાન સંપૂર્ણ કહું છું તને,

જે જાણ્યાથી પછી બીજું જગે ના જાણવું રહે. ૨/૭


હજારો માનવે કોક સિદ્ધિનો યત્ન આદરે;

ને સિદ્ધ યતિઓમાં'યે કો’ જ તત્ત્વે લહે મ’ને. ૨/૭


હજારો માનવે કોક સિદ્ધિનો યત્ન આદરે;

ને સિદ્ધ યતિઓમાં'યે કો’ જ તત્ત્વે લહે મ’ને. ૩/૭


ભૂ,જળ,અગ્નિ, વા,વ્યોમ, મન, બુદ્ધિ, અહંકૃતિ;

આ આઠ રૂપના ભેદે મારી પ્રકૃતિ છે રહી. ૪/૭


આ તો અપર, છે અન્ય પર પ્રકૃતિ તે થકી;

જીવરૂપ થઇ જેણે, જાણ, આ જગને ધર્યું. ૫/૭

આ બે'થી સઘળાં ભૂતો ઊપજે એમ જાણજે;

આખા જગતનો, પાર્થ, હું જ ઉત્પત્તિ ને લય. ૬/૭


બીજું કોઇ નથી તત્ત્વ, મારાથી પાર જે ગણો;

હું-માં આ સૌ પરોવાયું-દોરામાં મણકા સમું. ૭/૭


રસ હું જળમાંહી છું, પ્રભા છું સૂર્યચંદ્રમાં,

(ૐ)(3) વેદે, નભે શબ્દ, નરોમાં પુરુષાતન. ૮/૭


પવિત્ર ગંધ પૃથ્વીમાં, અગ્નિમાં હુ પ્રકાશ છું;

જીવન સર્વ ભૂતોમાં, તપસ્વીઓ વિષે તપ. ૯/૭


તું જાણ સર્વ ભૂતોનું, મ’ને બીજ સનાતન,

છું બુદ્ધિમાન ની બુદ્ધિ, તેજસ્વીઓનું તેજ છું. ૧૦/૭


કામ ને રાગથી મુક્ત બળ હું બળવાનનું;

ધર્મથી ન વિરોધી જે એવો છું કામ ભૂતમાં. ૧૧/૭


વળી સાત્ત્વિક જે ભાવો, રજ ને તમના'ય જે,

મારા થકી જ તે જાણ, તેમાં હું,નહિ તે હું-માં. ૧૨/૭


આવા ત્રિગુણના ભાવે મોહેલું સર્વ આ જગત;

ઓળખેના મ’ને, જેછું તે સૌથી પાર અવ્યય. ૧૩/૭


દૈવી ગુણમયી મારી માયા આ અતિ દુ:સ્તર;

મારે જ શરણે આવે, તે આ માયા તરી જતા. ૧૪/૭

મારે ન શરણે આવે પાપી, મૂઢ, નરાધમો,

માયાએ જ્ઞાન લૂંટેલા, આસુરી ભાવ સેવતા. ૧૫/૭

ચાર પ્રકારના ભક્તો પુણ્યશાળી ભજે મ’ને

આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, ચોથો જ્ઞાની, પરંતપ. ૧૬/૭


તેમાં જ્ઞાની, સદાયોગી, અનન્ય ભક્ત, શ્રેષ્ઠ છે;

જ્ઞાનીને હું ઘણો વા’લો, તે'યે છે મુજને પ્રિય. ૧૭/૭


તે સૌ સંતજનો તો'યે જ્ઞાની આત્મા જ છે મુજ;

મારામાંતે રહ્યો યુક્ત, જેનાથી શ્રેષ્ઠ ના ગતિ. ૧૮/૭


ઘણા'યે જન્મને અંતે જ્ઞાની લે શરણું મુજ;

’સર્વ આ બ્રહ્મ’ જાણે તે મહાત્મા અતિ દુર્લભ. ૧૯/૭


કામોએ જ્ઞાન લૂંટેલા ભજે તે અન્ય દેવતા

તે તે નિયમે રાખી—બાંધ્યા પ્રકૃતિએ નિજ. ૨૦/૭


ઇચ્છે જેરૂપમાં જે જે શ્રદ્ધાપૂર્વક પૂજવા,

તેની તેની હું તેવી જ દૃઢ શ્રદ્ધા કરાવું છું. ૨૧/૭


તેવી શ્રદ્ધા ભર્યો તેની વાંછતો તે પ્રસન્નતા;

તેનાથી મેળવે કામો, મેં જ નિર્માણ જે કર્યાં. ૨૨/૭


નાશવંત ફળો પામે જનો તે અલ્પબુદ્ધિના;

દેવોના ભક્ત દેવોને,મારા ભક્ત મ’ને મળે. ૨૩/૭


અવ્યક્ત તે થયો વ્યક્ત, માને મૂઢજનો મ’ને

ન જાણતા પરંભાવ, મારો અવ્યય ઉત્તમ. ૨૪/૭


ઢંકાયો યોગ-માયાએ ના હું પ્રગટ સર્વને;

આ મૂઢ લોક જાણેના, અજન્મા, અવ્યયી મ’ને ૨૫/૭


ભૂતો જે જે થયા પૂર્વે, આજે છે ને હવે થશે,

હું તો સર્વને જાણું, મ’ને કો જાણતું નથી. ૨૬/૭


રાગ ને દ્વેષથી ઊઠે દ્વંદ્વોનો મોહ ચિત્તમાં,

તેથી સંસારમાં સર્વે ભૂતોને મોહ થાય છે. ૨૭/૭


પણ જે પુણ્યશાળીનાં પાપકર્મ ગળી ગયાં,

તે દ્વંદ્વમોહ છૂટેલા મ’ને દૃઢ વ્રતે ભજે. ૨૮/૭


જે મારે આશ્રયે મંડે છૂટવા જન્મમૃત્યુથી,

બ્રહ્મ, સંપૂર્ણ અધ્યાત્મ, સર્વ કર્મે'ય તે લહે. ૨૯/૭


સાધિ ભૂતાધિદૈવે જે, સાધિ યજ્ઞે મ’ને લહે,

જાણે પ્રયાણ કાળે'યે મને તે યુક્તચિત્તના. ૩૦/૭


શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘જ્ઞાન-વિજ્ઞાન-યોગ’ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ