અક્ષરબ્રહ્મયોગ - યોગીનો દેહત્યાગ
અધ્યાય: આઠમો
અર્જુઅન બોલ્યા:
શું તે બ્રહ્મ? શું અધ્યાત્મ? શું કર્મ, પુરુષોત્તમ?
અધિભૂત એ શાને? શું વળી અધિદૈવ છે? ૧/૮
અધિયજ્ઞ અહીં દેહે કોણ ને કેમ છે રહ્યો?
તમને અંતવેળાએ યતિએ કેમ જાણવા? ૨/૮
શ્રીભગવાન બોલ્યા:
અક્ષર તે પરબ્રહ્મ, અધ્યાત્મ તો સ્વભાવ જે;
ભૂતો સૌ ઊપજાવે તે વિસર્ગ કર્મ જાણવું. ૩/૮
ક્ષર ને જીવના ભાવો અધિભૂતાધિદૈવ તે;
અધિયજ્ઞ હું પોતે જ દેહીના દેહમાં અહીં. ૪ /૮
મ’ને જ સ્મરતો અંતે છોડી જાય શરીર જે,
મારો જ ભાવ તે પામે, તેમાં સંશય ના કશો. ૫/૮
જે જે'યે સ્મરતો ભાવ છોડી જાય શરીરને,
તેને તેને જ તે પામે સદા તે ભાવથી ભર્યો. ૬/૮
માટે અખંડ તું મારી સ્મૃતિને રાખતો લડ;
મનબુદ્ધિ મ’ને અર્પ્યે મ’ને નિ:શંક પામશે. ૭/૮
અભ્યાસ યોગમાં યુક્ત મન બીજે ભમે નહીં,
અખંડચિંતને પામે પરંપુરુષ દિવ્ય તે. ૮/૮
પુરાણ,સર્વજ્ઞ, જગન્નિયંતા,
સૂક્ષ્માતિસૂક્ષ્મ સહુના વિધાતા;
આદિત્યવર્ણ, તમથી'ય પાર,
અચિંત્યરૂપ સ્મરતો સદા જે.
૯/૮
પ્રયાણકાળે સ્થિર ચિત્ત રાખી,
લૈ ભક્તિ સાથે બલ યોગનું યે;
ભવાં વચ્ચે પ્રાણ સુરીત આણી,
યોગી પરંપુરુષ દિવ્ય પામે.
૧૦/૮
જેને કહે ‘અક્ષર’ વેદવેત્તા,
જેમાં વિરગી યતિઓ પ્રવેશે;
જે કાજ રાખે વ્રત બ્રહ્મચર્ય,
કહું તને તે પદ સારરૂપે.
૧૧/૮
રોકીને ઇન્દ્રિય દ્વારો, રૂંધીને હૃદયે મન,
સ્થાપીને તાળવે પ્રાણ, રાખીને યોગ-ધારણા; ૧૨/૮
ૐ(3) એકાક્ષરી બ્રહ્મ ઉચ્ચારી સ્મરતો મ’ને,
જે જાય દેહને છોડી, તે પામે છે પરંગતિ. ૧૩/૮
સતત એક ચિત્તે જે સદા સંભારતો મ’ને,
તે નિત્ય-યુક્ત યોગીને સે’જે હું પ્રાપ્ત થાઉં છું. ૧૪/૮
મ’ને પોંચી મહાત્માઓ, પામેલા શ્રેષ્ઠ સિદ્ધિને,
વિનાશી, દુ:ખનું ધામ, પૂનર્જન્મ ધરે નહીં. ૧૫/૮
બ્રહ્માના લોક પર્યંત આવાગમન સર્વને;
પરંતુ મુજને પામી પૂનર્જન્મ રહે નહીં. ૧૬/૮
હજાર યુગનો દા’ડો હજાર યુગની નિશા;
બ્રહ્માના દિનરાત્રીના વિદ્વાનો એમ જણતા. ૧૭/૮
અવ્યક્તથી બધી વ્યક્તિ નીકળે દિન ઊગતાં;
રાત્રી થતાં ફરી પામે તે જ અવ્યક્તમાં લય. ૧૮/૮
તે જ આ ભૂતનો સંઘ ઊઠી ઊઠી મટી જતો,
પરધીનપણે રાત્રે; નીકળે દિન ઊગતાં. ૧૯/૮
તે અવ્યક્ત થકી ઊંચો બીજો અવ્યક્તભાવ છે
તે શાશ્વત નહીં નાશે, ભૂતો સૌ નાશ પામતાં. ૨૦/૮
કહ્યો અક્ષર, અવ્યક્ત, કહી તેને પરંગતિ;
જે પામ્યે ન ફરે ફેરા, -તે મારું ધામ છે પરં. ૨૧/૮
પરં પુરુષ તે પ્રાપ્ત થાય અનન્ય ભક્તિથી-
જેના વિષે રહે ભૂતો, જેનો વિસ્તાર આ બધો. ૨૨/૮
જે કાળે છોડતાં દેહ યોગી પાછા ફરે નહીં;
જે કાળે ફરે પાછા, તે કાળ કહું છું હવે. ૨૩/૮
અગ્નિજ્યોતે, દિને, શુકલે, છ માસે ઉત્તરાયણે,
તેમાં જે બ્રહ્મવેતાઓ જાય તે બ્રહ્મ પામતા. ૨૪/૮
ધુમાડે, રાત્રીએ, કૃષ્ણે , છ માસે ઉત્તરાયણે,
તેમાં યોગી ફરે પાછો પામીને ચંદ્રજ્યોતિને. ૨૫/૮
શુક્લ-કૃષ્ણ ગણી આ બે ગતિ વિશ્વે સનાતન;
એકથી થાય ના ફેરા, બીજીથી ફરતો વળી. ૨૬/૮
આવા બે માર્ગ જાણે તે યોગી મોહે પડે નહીં;
તે માટે તું સદાકાળ યોગયુક્ત બની રહે. ૨૭/૮
વેદો તણાં,યજ્ઞ-તપો તણાં'યે,
દાનો તણાં પુણ્ય ફળો કહ્યાં જે;
તે સર્વ આ જ્ઞાન વડે વટાવી,
યોગી લહે આદિ મહાન ધામ.
૨૮/૮
શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘અક્ષરબ્રહ્મયોગ’ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ.