અક્ષરબ્રહ્મયોગ - યોગીનો દેહત્યાગ

અધ્યાય: આઠમો


અર્જુઅન બોલ્યા:

શું તે બ્રહ્મ? શું અધ્યાત્મ? શું કર્મ, પુરુષોત્તમ?

અધિભૂત એ શાને? શું વળી અધિદૈવ છે? ૧/૮


અધિયજ્ઞ અહીં દેહે કોણ ને કેમ છે રહ્યો?

તમને અંતવેળાએ યતિએ કેમ જાણવા? ૨/૮


શ્રીભગવાન બોલ્યા:

અક્ષર તે પરબ્રહ્મ, અધ્યાત્મ તો સ્વભાવ જે;

ભૂતો સૌ ઊપજાવે તે વિસર્ગ કર્મ જાણવું. ૩/૮


ક્ષર ને જીવના ભાવો અધિભૂતાધિદૈવ તે;

અધિયજ્ઞ હું પોતે જ દેહીના દેહમાં અહીં. ૪ /૮


મ’ને જ સ્મરતો અંતે છોડી જાય શરીર જે,

મારો જ ભાવ તે પામે, તેમાં સંશય ના કશો. ૫/૮


જે જે'યે સ્મરતો ભાવ છોડી જાય શરીરને,

તેને તેને જ તે પામે સદા તે ભાવથી ભર્યો. ૬/૮


માટે અખંડ તું મારી સ્મૃતિને રાખતો લડ;

મનબુદ્ધિ મ’ને અર્પ્યે મ’ને નિ:શંક પામશે. ૭/૮


અભ્યાસ યોગમાં યુક્ત મન બીજે ભમે નહીં,

અખંડચિંતને પામે પરંપુરુષ દિવ્ય તે. ૮/૮


પુરાણ,સર્વજ્ઞ, જગન્નિયંતા,

સૂક્ષ્માતિસૂક્ષ્મ સહુના વિધાતા;

આદિત્યવર્ણ, તમથી'ય પાર,

અચિંત્યરૂપ સ્મરતો સદા જે.

૯/૮

પ્રયાણકાળે સ્થિર ચિત્ત રાખી,

લૈ ભક્તિ સાથે બલ યોગનું યે;

ભવાં વચ્ચે પ્રાણ સુરીત આણી,

યોગી પરંપુરુષ દિવ્ય પામે.

૧૦/૮

જેને કહે ‘અક્ષર’ વેદવેત્તા,

જેમાં વિરગી યતિઓ પ્રવેશે;

જે કાજ રાખે વ્રત બ્રહ્મચર્ય,

કહું તને તે પદ સારરૂપે.

૧૧/૮

રોકીને ઇન્દ્રિય દ્વારો, રૂંધીને હૃદયે મન,

સ્થાપીને તાળવે પ્રાણ, રાખીને યોગ-ધારણા; ૧૨/૮

ૐ(3) એકાક્ષરી બ્રહ્મ ઉચ્ચારી સ્મરતો મ’ને,

જે જાય દેહને છોડી, તે પામે છે પરંગતિ. ૧૩/૮


સતત એક ચિત્તે જે સદા સંભારતો મ’ને,

તે નિત્ય-યુક્ત યોગીને સે’જે હું પ્રાપ્ત થાઉં છું. ૧૪/૮

મ’ને પોંચી મહાત્માઓ, પામેલા શ્રેષ્ઠ સિદ્ધિને,

વિનાશી, દુ:ખનું ધામ, પૂનર્જન્મ ધરે નહીં. ૧૫/૮


બ્રહ્માના લોક પર્યંત આવાગમન સર્વને;

પરંતુ મુજને પામી પૂનર્જન્મ રહે નહીં. ૧૬/૮


હજાર યુગનો દા’ડો હજાર યુગની નિશા;

બ્રહ્માના દિનરાત્રીના વિદ્વાનો એમ જણતા. ૧૭/૮


અવ્યક્તથી બધી વ્યક્તિ નીકળે દિન ઊગતાં;

રાત્રી થતાં ફરી પામે તે જ અવ્યક્તમાં લય. ૧૮/૮


તે જ આ ભૂતનો સંઘ ઊઠી ઊઠી મટી જતો,

પરધીનપણે રાત્રે; નીકળે દિન ઊગતાં. ૧૯/૮


તે અવ્યક્ત થકી ઊંચો બીજો અવ્યક્તભાવ છે

તે શાશ્વત નહીં નાશે, ભૂતો સૌ નાશ પામતાં. ૨૦/૮


કહ્યો અક્ષર, અવ્યક્ત, કહી તેને પરંગતિ;

જે પામ્યે ન ફરે ફેરા, -તે મારું ધામ છે પરં. ૨૧/૮


પરં પુરુષ તે પ્રાપ્ત થાય અનન્ય ભક્તિથી-

જેના વિષે રહે ભૂતો, જેનો વિસ્તાર આ બધો. ૨૨/૮


જે કાળે છોડતાં દેહ યોગી પાછા ફરે નહીં;

જે કાળે ફરે પાછા, તે કાળ કહું છું હવે. ૨૩/૮


અગ્નિજ્યોતે, દિને, શુકલે, છ માસે ઉત્તરાયણે,

તેમાં જે બ્રહ્મવેતાઓ જાય તે બ્રહ્મ પામતા. ૨૪/૮


ધુમાડે, રાત્રીએ, કૃષ્ણે , છ માસે ઉત્તરાયણે,

તેમાં યોગી ફરે પાછો પામીને ચંદ્રજ્યોતિને. ૨૫/૮


શુક્લ-કૃષ્ણ ગણી આ બે ગતિ વિશ્વે સનાતન;

એકથી થાય ના ફેરા, બીજીથી ફરતો વળી. ૨૬/૮


આવા બે માર્ગ જાણે તે યોગી મોહે પડે નહીં;

તે માટે તું સદાકાળ યોગયુક્ત બની રહે. ૨૭/૮


વેદો તણાં,યજ્ઞ-તપો તણાં'યે,

દાનો તણાં પુણ્ય ફળો કહ્યાં જે;

તે સર્વ આ જ્ઞાન વડે વટાવી,

યોગી લહે આદિ મહાન ધામ.

૨૮/૮


શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘અક્ષરબ્રહ્મયોગ’ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ.