જ્ઞાન અને યોગનું તત્ત્વ
અધ્યાય ૨ જો
સંજય બોલ્યા–
આમ તે રાંકભાવે ને આંસુએ વ્યગ્ર દૃષ્ટિથી
શોચતા પાર્થને આવાં વચનો માધવે કહ્યાં– ૧/૨
શ્રી ભગવાન બોલ્યા–
ક્યાંથી મોહ તને આવો ઊપજ્યો વસમી પળે
નહીં જે આર્યને શોભે, સ્વર્ગ ને યશ જે હરે ? ૨/૨
મા તું કાયર થા, પાર્થ, તને આ ઘટતું નથી;
હૈયાના દૂબળા ભાવ છોડી ઊઠ, પરંતપ. ૩/૨
અર્જુન બોલ્યા–
મારે જે પૂજવા યોગ્ય ભીષ્મ ને દ્રોણ,
તે પ્રતિ કેમ હું રણસંગ્રામે બાણોથી યુદ્ધ આદરું? ૪/૨
વિના હણીને ગુરુઓ મહાત્મા
ભિક્ષા વડે જીવવું તેય સારું;
હણી અમે તો ગુરુ અર્થવાંછુ
લોહીભર્યા માણશું ભોગ લોકે !
૫/૨
થાયે અમારો જય તેમનો વા–
શામાં અમારું હિત તે ન સૂઝે;
જેને હણી જીવવુંયે ગમે ના,
સામા ખડા તે ધૃતરાષ્ટ્ર-પુત્રો.
૬/૨
સ્વભાવ મેટ્યો મુજ રાંકભાવે,
ન ધર્મ સૂઝે, તમને પૂછું હું ;
બોધો મને નિશ્ચિત શ્રેય જેમાં,
છું શિષ્ય, આવ્યો શરણે તમારે.
૭/૨
સમૃદ્ધ ને શત્રુ વિનાનું રાજ્ય
મળે જગે કે સુરલોકમાંયે;
તોયે ન દેખું કંઇ શોક ટાળે
મારી બધી ઇન્દ્રિય તાવનારો.
૮/૨
સંજય બોલ્યા–
પરંતપ, ગુડાકેશે આમ ગોવિંદને કહી,
”હું તો નહીં લડું’ એવું બોલી મૌન ધર્યું પછી. ૯/૨
આમ બે સૈન્યની વચ્ચે ખેદે વ્યાપેલ પાર્થને
હસતા-શું હૃષીકેશે આવાં ત્યાં વચનો કહ્યાં– ૧૦/૨
શ્રીભગવાન બોલ્યા–
ન ઘટે ત્યાં કરે શોક,ને વાતોજ્ઞાનની વદે !
પ્રાણો ગયા-રહ્યા તેનો જ્ઞાનીઓ શોક ના કરે. ૧૧/૨
હું તું કે આ મહીપાળો, પૂર્વે ક્યરે હતા નહીં,
ન હઇશું ભવિષ્યેયે એમ તું જાણતો રખે ૧૨/૨
દેહીને દેહમાં આવે બાળ, જોબનને જરા,
તેમ આવે નવો દેહ, તેમાં મૂંઝાય ધીર ના ૧૩/૨
સ્પર્શાદિ વિષયો જાણ, શીતોષ્ણ-સુખદુ:ખદા,
અનિત્ય, જાય ને આવે, તેને, અર્જુન, લે સહી ૧૪/૨
તે પીડી ન શકે જેને, સમ જે સુખદુ:ખમાં,
તે ધીર માનવી થાય પામવા યોગ્ય મોક્ષને ૧૫/૨
અસત્યને ન અસ્તિત્વ, નથી નાશેય સત્યનો;
નિહાળ્યો તે તત્ત્વદર્શીએ આવો સિદ્ધાંત બેઉનો ૧૬/૨
જાણજે અવિનાશી તે જેથી વિસ્તર્યું આ બધું;
તે અવ્યય તણો નાશ કોઇયે ના કરી શકે. ૧૭/૨
અવિનાશી, પ્રમાતીત, નિત્ય દેહીતણાં કહ્યાં
શરીરો અંતવાળાં આ તેથી તું ઝૂઝ, અર્જુન ૧૮/૨
જે માને કે હણે છે તે, જે માને તે હણાય છ,
બંનેયે તત્ત્વ જાણે ના, હણે ના તે હણાય ના ૧૯/૨
ન જન્મ પામે, ન કદાપિ મૃત્યુ,
ન્હોતો ન તે કે ન હશે ન પાછો :
અજન્મ, તે નિત્ય, સદા, પુરાણ,
હણ્યે શરીરે ન હણાય તે તો.
૨૦/૨
જે એને જાણતો નિત્ય, અનાશી, અજ, અવ્યય,
તે નર કેમ ને કોને હણાવે અથવા હણે ૨૧/૨
ત્યજી દઇ જીર્ણ થયેલ વસ્ત્રો,
લે છે નવાં જેમ મનુષ્ય બીજાં;
ત્યજી દઇ જીર્ણ શરીર તેમ,
પામે નવાં અન્ય શરીર દેહી
૨૨/૨
ન તેને છેદતાં શસ્ત્રો, ન તેને અગ્નિ બાલતો,
ન તેને ભીંજવે પાણી, ન તેને વાયુ સૂકવે ૨૩/૨
છેદાય ના, બળે ના તે, ન ભીંજાય, સુકાય ના :
સર્વવ્યાપક તે નિત્ય,સ્થિર, નિશ્ચળ, શાશ્વત ૨૪/૨
તેને અચિંત્ય, અવ્યક્ત, નિર્વિકાર કહે વળી;
તેથી એવો પિછાણી તે, તને શોક ઘટે નહીં. ૨૫/૨
ને જો માને તું આત્માનાં જન્મ-મૃત્યુ ક્ષણે ક્ષણે,
તોયે તારે, મહાબાહુ, આવો શોક ઘટે નહીં ૨૬/૨
જન્મ્યાનું નિશ્ચયે મૃત્યુ, મૂઆનો જન્મ નિશ્ચયે;
માટે જે ન ટળે તેમાં તને શોક ઘટે નહીં ૨૭/૨
અવ્યક્ત આદિ ભૂતોનું, મધ્યમાં વ્યક્ત ભાસતું;
વળી, અવ્યક્ત છે અંત, તેમાં ઉદ્વેગ જોગ શું ૨૮/૨
આશ્ચર્ય-શું કોઇ નિહાળતું એ,
આશ્ચર્ય-શું તેમ વદે, વળી, કો,
આશ્ચર્ય-શું અન્ય સુણેય કોઇ,
સુણ્યા છતાં કો સમજ ન તેને
૨૯/૨
સદા અવધ્ય તે દેહી સઘળાના શરીરમાં;
કોઇયે ભૂતનો તેથી તને શોક ઘટે નહીં ૩૦/૨
વળી, સ્વધર્મ જોતાંયે ન તારે ડરવું ઘટે;
ધર્મયુદ્ધ થકી બીજું શ્રેય ક્ષત્રિયને નથી ૩૧/૨
અનાયાસે ઉઘાડું જ સ્વર્ગનું દ્વાર સાંપડ્યું;
ક્ષત્રિઓ ભાગ્યશાળી જે તે પામે યુદ્ધ આ સમું ૩૨/૨
માટે આ ધર્મસંગ્રામ આવો જો ન કરીશ તું,
તો તું સ્વધર્મ ને કીર્તિ છાંડી પામીશ પાપને ૩૩/૨
અખંડ કરશે વાતો લોકો તારી અકીર્તિની;
માની પુરુષને કાજે અકીર્તિ મૃત્યુથી વધુ ૩૪/૨
ડરીને રણ તેં ટાળ્યું માનશે સૌ મહારથી;
રહ્યો સ્ન્માન્ય જેઓમાં તુચ્છ તેને જ તું થશે ૩૫/૨
ન બોલ્યાના ઘણા બોલ બોલશે તુજ શત્રુઓ;
નિંદશે તુજ સામર્થ્ય, તેથી દુ:ખ કયું વધું ૩૬/૨
હણાયે પામશે સ્વર્ગ, જીત્યે ભોગવશે મહી;
માટે, પાર્થ, ખડો થા તું, યુદ્ધાર્થે દૃઢનિશ્ચયે ૩૭/૨
લાભ-હાનિ, સુખો-દુ:ખો, હાર-જીત કરી સમ,
પછી યુદ્ધાર્થે થા સજ્જ, તો ના પાપ થશે તને. ૩૮/૨
કહી આ સાંખ્યની બુદ્ધિ, હવે સાંભળ યોગની;
જે બુદ્ધિથી થયે યુક્ત તોડીશ કર્મબંધન ૩૯/૨
આદર્યા વણસે ના ને વિઘ્ન ના ઊપજે અહીં;
સ્વલ્પેઆ ધર્મનો અંશ ઉગારે ભયથી વડા. ૪૦/૨
એમાં મનુષ્યની બુદ્ધિ એક નિશ્ચયમાં રહે;
અનંત, બહુશાખાળી બુદ્ધિ બુદ્ધિ નિશ્ચયહીનની ૪૧/૨
અલ્પબુદ્ધિજનો, પાર્થ કાઅમ-સ્વર્ગ-પરાયણ,
વેદવાદ વિશે મગ્ન, આવી જે કર્મકાંડની ૪૨/૨
જન્મ-કર્મ- ફળો દેતી, ભોગ-ઐશ્વર્ય સાધતી
વાણીને ખીલવી બોલે,”આથી અન્ય કશું નથી.” ૪૩/૨
ભોગ-ઐશ્વર્યમાં ચોંટ્યા, હરાઇ બુદ્ધિ તે વડે,–
તેમની બુદ્ધિની નિષ્ઠા ઠરે નહીં સમાધિમાં. ૪૪/૨
ત્રિગુણાત્મક વેદાર્થો, થા ગુણાતીત, આત્મવાન્ .
નિશ્ચિંત યોગ ને ક્ષેમે, નિર્દ્વંદ, નિત્ય-સત્ત્વવાન્ ૪૫/૨
નીર-ભરેલ સર્વત્ર તળાવે કામ જેટલું,
તેટલું સર્વ વેદોમાં વિજ્ઞાની બ્રહ્મનિષ્ઠનેચ ૪૬/૨
કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,
મા હો કર્મફળે દૃષ્ટિ, મા હો રાગ અકર્મમાં ૪૭/૨
કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;
યશાયશ સમા માની –સમતા તે જ યોગ છે ૪૮/૨
અત્યંત હીન તો કર્મ બુદ્ધિયોગ થકી ખરે;
શરણું બુદ્ધિમાં શોધ, રાંક જે ફળ વાંછતાં. ૪૯/૨
બુદ્ધિયોગી અહીં છોડે પાપ ને પુણ્ય બેઉયે;
માટે થા યોગમાં યુક્ત, કર્મે કૌશલ્ય યોગ છે ૫૦/૨
બુદ્ધિયોગી વિવેકી તે, ત્યાગીને કર્મનાં ફળો,
જન્મબંધનથી છૂટી પોં’ચે નિર્દોષ ધામને. ૫૧/૨
મોહનાં કળણો જ્યારે તારી બુદ્ધિ તરી જશે;
સુણ્યું ને સુણવું બાકી બેએ નિર્વેદ આવશે ૫૨/૨
બહુ સુણી ગૂંચાયેલી તારી બુદ્ધિ થશે સ્થિર,
અચંચળ, સમાધિસ્થ, ત્યારે તું યોગ પામશે ૫૩/૨
અર્જુન બોલ્યા:
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો? ૫૪/૨
શ્રીભગવાન બોલ્યા–
મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે
રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો ૫૫/૨
દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે,સુખોની ઝંખના ગઇ;
ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુધ્ધિનો ૫૬/૨
આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ;
ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઇ સ્થિર ૫૭/૨
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી
સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર ૫૮/૨
નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરમ ૫૯/૨
પ્રયત્નમાં રહે તોયે શાણાયે નરના હરે
મન'ને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી ૬૦/૨
યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,
ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા સ્થિર ૬૧/૨
વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,
જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે ૬૨/૨
ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;
સ્મૃતિલોપે બુધ્ધિનાશ, બુધ્ધિનાશે વિનાશ છે ૬૩/૨
રાગ ને દ્વેષ છૂટેલીઇન્દ્રિયે વિષયો ગ્રહે
વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા ૬૪/૨
પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતા;
પામ્યો પ્રસન્નતા તેની બુધ્ધિ શીઘ્ર બને સ્થિર ૬૫/૨
અયોગીને નથી બુધ્ધિ, અયોગીને ન ભાવના;
ન ભાવહીનને શાંતિ,સુખ ક્યાંથી અશાંતને? ૬૬/૨
ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન,
દેહીની તે હરે બુધ્ધિ, જેમ વા નાવને જળે ૬૭/૨
તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયોથકી
ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઇ સ્થિર ૬૮/૨
નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,
જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા ૬૯/૨
સદા ભરાતા અચલપ્રતિષ્ઠ
સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;
જેમાં પ્રવેશે સહુ કામ તેમ,
તે શાંતિ પામે નહીં કામકામી
૭૦/૨
છોડીને કામના સર્વે ફરે જે નર નિસ્પૃહ,
અહંતા—મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત ૭૧/૨
આ છે બ્રહ્મદશા, એને પામ્યે ના મોહમાં પડે;
અંતકાળેય તે રાખી બ્રહ્મનિરવાણ મેળવે… ૭૨/૨
શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ’સાંખ્ય-યોગ’ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ