જ્ઞાન-કર્મ-સંન્યાસ-યોગ

અધ્યાય ચોથો


શ્રી ભગવાન બોલ્યા–

પૂર્વે આ અવ્યયી યોગ મેં વિવસ્વાનને કહ્યો,

તેણે તે મનુને ભાખ્યો, તેણે ઇક્ષ્વાકુને કહ્યો ૧/૪


એમ પરંપરાથી તે જાણ્યો રાજર્ષિએ ઘણા,

લાંબે કાળે પછી લોકે લોપ તે યોગનો થયો. ૨/૪


તે જ મેં આ તને આજે કહ્યો યોગ પુરાતન,

ભકત મારો, સખા'યે તું, ને આ રહસ્ય ઉત્તમ. ૩/૪


અર્જુન બોલ્યા—

પૂર્વે જન્મ્યા વિવસ્વાન, તમારો જન્મ હાલનો;

તો કેમ માનું કે તેને તમે જ આદિમાં કહ્યો ? ૪/૪


શ્રીભગવાન બોલ્યા–

વીત્યા જન્મો ઘણા મારા, તારાયે તેમ, અર્જુન;

હું જાણું છું બધા તેને, તું તેને જાણતો નથી. ૫/૪


અજન્મા, અવ્યયાત્મા ને ભૂતોનો ઇશ્વરે છતાં,

ઊપજું આત્મમાયાથી મારી પ્રકૃત્તિ પૈં ચડી. ૬/૪


જ્યારે જ્યારે જગે થાય ધર્મની ગ્લાનિ, ભારત,

આધર્મ ઊભરે ત્યારે પોતાને સરજાવું હું. ૭/૪


સંતોના રક્ષણાર્થે ને પાપીના નાશ કારણે,

ધર્મની સ્થાપના કાજે ઊપજું છું યુગે યુગે. ૮/૪


મારાં જન્મ તથા કર્મ દિવ્ય જે આમ તત્ત્વથી

જાણે, તે ન ફરી જન્મે, મર્યે પામે મ’ને જ તે. ૯/૪


વીત-રાગ-ભય- ક્રોધ, મ’ને આશ્રિત, હું-મય,

જ્ઞાન-તપે થઇ શુદ્ધ, પામ્યા મદ્ભાવને ઘણા. ૧૦/૪


જે મ’ને આશરે જેમ, તેને તેમ જ હું ભજું;

અનુસરે મનુષ્યો સૌ સર્વથા મુજ માર્ગને. ૧૧/૪


ઇચ્છતા કર્મની સિદ્ધિ દેવોને પૂજતા જનો;

શીઘ્ર જ કર્મની સિદ્ધિ થાય માનવલોકમાં. ૧૨/૪


ગુણ ને કર્મના ભેદે સર્જ્યાં મેં ચાર વર્ણને;

હું અવ્યય અકર્તા તે, જાણ, કર્તા'ય તેમનો. ૧૩/૪

ન મ’ને લેપતા કર્મો, ન મ’ને ફળમાં સ્પૃહા;

જે મને ઓળખે એમ, તે ન બંધાય કર્મથી. ૧૪/૪


આવા જ્ઞાને કર્યું કર્મ પૂર્વેનાયે મુમુક્ષુએ;

કર કર્મ જ, તેથી,તું, પૂર્વજો જે કરી ગયા. ૧૫/૪


પંડિતોયે મૂંઝાતા કે કર્મ શું ને અકર્મ શું;

તેથી કર્મ કહું જેને જાણ્યે છૂટીશ પાપથી. ૧૬/૪


કર્મનું જાણવું મર્મ, જાણવુંયે વિકર્મનું;

જાણવું જે અકર્મે'યે, ગૂઢ છે કર્મની ગતિ. ૧૭/૪


અકર્મ કર્મમાં દેખે, કર્મ દેખે અકર્મમાં;

બુદ્ધિમાન તે મનુષ્યોમાં, યોગી તે પૂર્ણ કર્મવાન્ ૧૮/૪


જેના સર્વે સમારંભો કામ-સંકલ્પ—હીન છે;

તે જ્ઞાનીનાં બળ્યાં કર્મો જ્ઞાનાગ્નિથી બુધો કહે. ૧૯/૪


છોડી કર્મ ફલાસક્તિ, સદા તૃપ્ત, નિરાશ્રયી,

પ્રવર્તે કર્મમાં તો'યે કશું તે કરતો નથી. ૨૦/૪

મનબુદ્ધિ વશે રાખી, તૃષ્ણાહીન, અસંગ્રહી,

કેવળ દેહથી કર્મ કર્યે પાપ ન પામતો. ૨૧/૪


સંતુષ્ટજે મળે તેથી, ના દ્વંદ્વ નહીં મત્સર,

સિદ્ધિ અસિદ્ધિમાં તુલ્ય, તે ન બંધાય કર્મથી. ૨૨/૪


છૂટ્યો સંગ, થયો મુક્ત, જ્ઞાનમાં સ્થિરચિત્તનો,

યજ્ઞાર્થે જે કરે કર્મ, તે સર્વ લય પામતું. ૨૩/૪


બ્રહ્માર્પ્યું બ્રહ્મનિષ્ઠેજે બ્રહ્માજ્ય બ્રહ્મ-અગ્નિમાં,

બ્રહ્મકર્મની નિષ્ઠાથી બ્રહ્મરૂપ જ થાય તે. ૨૪/૪


કોઇ યોગી કરે માત્ર દેવ-યજ્ઞ ઉપાસના;

કોઇ બ્રહ્માગ્નિમાં યજ્ઞ, યજ્ઞ વડે જ હોમતા, ૨૫/૫


શ્રોત્રાદિ ઇન્દ્રિયો કોઇ હોમતા સંયમાગ્નિમાં;

શબ્દાદિ વિષયો કોઇ હોમતા ઇન્દ્રિયાગ્નિમાં. ૨૬/૪


કોઇ સૌ ઇન્દ્રિયોનાં'ને પ્રાણોનાં કર્મ હોમતા

જ્ઞાનથી અગ્નિ ચેતાવી આત્મસંયમયોગનો. ૨૭/૪


દ્રવ્ય, તપ તથા યોગ, સ્વાધ્યાય,જ્ઞાન સાધને,

જુદા જુદા કરે યજ્ઞો, વ્રત-સજ્જ, પ્રયત્નવાન્ ૨૮/૪


અપાને પ્રાણને હોમે, તથા પ્રાણે અપાનને,

અપાને-પ્રાણને રોકી પ્રાણાયામ-ઉપાસકો. ૨૯/૪


આહાર નિયમે આણી કો હોમે પ્રાણ પ્રાણમાં;

યજ્ઞથી પાપ ટાળેલા યજ્ઞવેત્ત્તા બધાય આ. ૩૦/૪


આ લોકે ના વિના યજ્ઞ, તો પછી પરલોક ક્યાં ? ૩૧/૪


બહુ પ્રકારના આવા વેદમાં યજ્ઞ વર્ણવ્યા;

સૌ તે કર્મે થતા જાણ, એ જાણ્યે મોક્ષ પામશે. ૩૨/૪


દ્રવ્યોના યજ્ઞથી રૂડો જાણવો જ્ઞાનયજ્ઞને;

જ્ઞાનમાં સઘળાં કર્મ પૂરેપૂરાં સમાય છે. ૩૩/૪


નમીને, પ્રશ્નપૂછીને, સેવીને જ્ઞાન પામ તું;

જ્ઞાનીઓ તત્ત્વના દ્રષ્ટા તને તે ઉપદેશશે. ૩૪/૪


જે જાણ્યેથી ફરી આવો તને મોહ થશે નહીં;

જેથી પેખીશ આત્મામાં - મુજમાં ભૂતમાત્ર તું. ૩૫/૪


હશે તું સર્વ પાપીમાં મહાપાપીય જો કદી,

તોય તરીશ સૌ પાપ જ્ઞાનનૌકા વડે જ તું. ૩૬/૪


જેમ ભભૂકતો અગ્નિ કરે છે ભસ્મ કાષ્ઠ સૌ,

તેમ ચેતેલ જ્ઞાનાગ્નિ કરે છે ભસ્મ કર્મ સૌ. ૩૭/૪


નથી જ જ્ઞાનના જેવું પવિત્ર જગમાં કંઇ;

સિદ્ધયોગી, યથાકાળે, જાણે તે આત્મમાં સ્વયં. ૩૮/૪


મેળવે જ્ઞાન શ્રદ્ધાળુ, જે જિતેન્દ્રિય, તત્પર;

મેળવી જ્ઞાનને પામે શીઘ્ર પરમ શાંતિને. ૩૯/૪


અજ્ઞાની ને અશ્રદ્ધાળુ, સંશયીનો વિનાશ છે;

આ લોક, પરલોકે ના, સુખે ના સંશયી લહે. ૪૦/૪


યોગથી કર્મને છોડ્યાં, જ્ઞાનથી સંશયો હણ્યા,

એવા આત્મવશી ને તો કર્મો બાંધી શકે નહીં. ૪૧/૪


માટે અજ્ઞાનથી ઊઠ્યો આ જે હ્રદય-સંશય,

જ્ઞાનખડ્ગે હણી તેને યોગે થા સ્થિર, ઊઠ તું. ૪૨/૪


શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘જ્ઞાન-કર્મ- સંન્યાસ—યોગ’ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ