કર્મ-સંન્યાસ-યોગ : જ્ઞાનદશા
અધ્યાય ૫
અર્જુન બોલ્યા:
કહો સંન્યાસ કર્મોનો, યોગનો'યે કહો તમે;
બેમાંથી એક જે રૂડો, તે જ નિશ્ચયથી કહો. ૧/૫
શ્રીભગવાન બોલ્યા :
કર્મસંન્યાસ ને યોગ બંનેય શ્રેયકારક;
બેમાંહી કર્મનો યોગ કર્મસંન્યાસથી ચડે. ૨/૫
જાણો તે નિત્ય-સંન્યાસી રાગ-દ્વેષ ન જે વિષે;
દ્વંદ્વ મુક્ત થયેલો તે છૂટે બંધનથી સુખે. ૩/૫
સાંખ્ય ને યોગ છે ભિન્ન, બાળ ક્હે, પંડિતો નહીં;
બે માં એકેયને પૂરો પામતાં ફળ મેળવે. ૪/૫
જે સ્થાન મેળવે સાંખ્યો, યોગી'યે તે જ પામતા
એક જ સાંખ્ય ને યોગ દેખે જે, તે જ દેખતા. ૫/૫
પણ દુ:ખે જ સંન્યાસ પામવો યોગના વિના;
મુનિ જે યોગમાં યુક્ત, તે શીઘ્ર તે બ્રહ્મ મેળવે. ૬/૫
યોગયુક્ત, વિશુદ્ધાત્મા, જીતેલો મન - ઇન્દ્રિયો,
સર્વ ભૂતતણો આત્મા, તે ન લેપાય કર્મથી. ૭/૫
જુએ, સુણે, અડે, સૂંઘે, જમે, ઊંઘે, વદે, ફરે,
શ્વાસ લે, પકડે, છોડે, ખોલે-મીંચેય આંખને. ૮/૫
જુએ, સુણે, અડે, સુંઘે, જમે, ઊંઘે, વદે, ફરે,
શ્વાસ લે, પકડે, છોડે, ખોલે મીંચે'ય આંખને ૯/૫
બ્રહ્માર્પણ કરી કર્મ છોડી આસક્તિ ન કરે,
પાપથી તે ન લેપાય, પાણીથી પદ્મપાન-શો. ૧૦/૫
શરીરે, મન-બુદ્ધિએ, માત્ર વા ઇન્દ્રિયે કરે,
આત્માની શુદ્ધિને કાજે યોગી નિ:સંગ કર્મને. ૧૧/૫
યોગી કર્મફળો છોડી નિષ્ઠાની શાંતિ મેળવે;
અયોગી ફળનો લોભી બંધાતો વાસના વડે. ૧૨/૫
સૌ કર્મો મનથી છોડી, સુખે આત્મવશી રહે;
નવદ્વારપુરે દેહી; ના કરે કારવે કંઇ. ૧૩/૫
ન કર્તાપણું, ના કર્મો સર્જતો લોકનાં પ્રભુ;
ન કર્મફળયોગેય, સ્વબાવ જ પ્રવર્તતો. ૧૪/૫
લે નહીં કોઇનું પાપ, ન તો પુણ્યે'ય તે વિભુ;
અજ્ઞાને જ્ઞાન ઢંકાયું, તેણે સૌ મોહમાં પડે. ૧૫/૫
જેમનું આત-અજ્ઞાન જ્ઞાનથી નાશ પામિયું,
તેમનું સૂર્ય-શું જ્ઞાન પ્રકાશે પરમાત્મને. ૧૬/૫
જેની આત્મા વિષે બુદ્ધિ, નિ:તત્પરતા, મને ,
ધોવાયાં જ્ઞાનથી પાપો, તેને જન્મ નહીં ફરી. ૧૭/૫
વિદ્વાન વિનયી વિપ્રે, તેમ ચાંડાળને વિષે,
ગાયે, ગજેય, શ્વાને'યે જ્ઞાનીને સમદૃષ્ટિછે. ૧૮/૫
અહીં જ ભવ તે જીત્યા, સ્થિર જે સમબુદ્ધિમાં;
નિર્દોષ સમ છે બ્રહ્મ, તેથી તે બ્રહ્મમાં ઠર્યા. ૧૯/૫
ન રાચે તે મળ્યે પ્રિય, નહીં મૂંઝાય અપ્રિયે;
અમૂઢ, સ્થિર બુદ્ધિ તે બ્રહ્મજ્ઞ, બ્રહ્મમાં ઠર્યો. ૨૦/૫
વિષયોમાં અનાસક્ત જાણે જે આત્મમાં સુખ;
તે બ્રહ્મયોગમાં યુક્ત અક્ષય સુખ ભોગવે. ૨૧/૫
કાં જે ઇન્દ્રિયના ભોગો દુ:ખકારણ માત્ર તે,
ઊપજે ને વળી નાશે, જ્ઞાની રાચે ન તે વિષે. ૨૨/૫
કામ ને ક્રોધના વેગો છૂટ્યા પહેલાં જ દેહથી,
અહીં જ જે સહી જાણે, તે યોગી, તે સુખી નર. ૨૩/૫
પ્રકાશ, સુખ ને શાંતિ જેને અંતરમાં મળ્યાં,
થયેલો બ્રહ્મ તે યોગી બ્રહ્મનિર્વાણ પામતો. ૨૪/૫
પામતા બ્રહ્મનિર્વાણ ઋષિઓ ક્ષીણપાપ જે,
અસંશયી, જિતાત્મા ને સર્વભૂતહિતે મચ્યા. ૨૫/૫
કામ ને ક્રોધથી મુક્ત, યતિ જે, આત્મનિગ્રહી,
રહે તે આત્મજ્ઞાનીને બ્રહ્મનિર્વાણ પાસમાં. ૨૬/૫
વિષયોને કર્યા દૂર, દૃશ્ટિ ભ્રૂ-મધ્યમાં ધરી,
નાકથી આવતાજાતા પ્રાણાપાન કર્યા સમ, ૨૭/૫
વશેંદ્રિય મનોબુદ્ધિ મુનિ મોક્ષપરાયણ,
ટાળ્યાં ઇચ્છા-ભય-ક્રોધ, તે મુનિ મુક્ત તો સદા. ૨૮/૫
મ’ને સૌ ભૂતનો મિત્ર, સર્વ-લોક- મહેશ્વર,
યગ્ય ને તપનો ભોક્તા જાણે તે શાંતિ પામતો. ૨૯/૫
શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘કર્મ-સંન્યાસ- યોગ’ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ.