ગુણ પરિણામ અને ઉપસંહાર

અધ્યાય – અઢાર મો

અર્જુન બોલ્યા :-


શું છે સંન્યાસનું તત્વ ત્યાગનું તત્વ શું? વળી ?

બેઉને જાણવા ઇચ્છું , જુદાં પાડી કહો મને . ૧/૧૮


શ્રી ભગવાન બોલ્યા –


છોડે સકામ કર્મોને જ્ઞાની સંન્યાસ તે લહે ;

છોડે'ય ફળ સર્વે કર્મોના, ત્યાગ તેને તો કહ્યો. ૨/૧૮


‘દોષરૂપ બધાં કર્મો-ત્યજો તે’ મુનિ કો કહે;

‘યજ્ઞ-દાન-તપો ક્યારે ન ત્યજો’ અન્ય તો કહે. ૩/૧૮


ત્યાગ સંબંધમાં તેથી મારા નિશ્ચયને સુણ:

ત્રણ પ્રકારના ભેદો ત્યાગના વર્ણવાય છે. ૪/૧૮


યજ્ઞ-દાન-તપો કેરાં કર્મો ન ત્યજવાં ઘટે;

અવશ્ય કરવાં, તે તો કરે પાવન સુજ્ઞને. ૫/૧૮


કરવાં તેય કર્મોને આસક્તિ-ફળ ત્યજીને;

આ ઉત્તમ અભિપ્રાય મારો નિશ્ચિત આ વિષે. ૬/૧૮


નીમેલાં કર્મનો ક્યારે નહીં સંન્યાસ તો ઘટે;

મોહથી જો કરે ત્યાગ, તે ત્યાગ તામસી કહ્યો. ૭/૧૮


કર્મે છે દૂ:ખ માટે જ કાયકલેશ ભયે ત્યજે,

તે કરે રાજસા ત્યાગ, ન પામે ફળ ત્યાગનું. ૮/૧૮


રહીને નિયમે કર્મ કર્તવ્ય સમજી કરે,

અનાસકત ફાળત્યાગી જાણ તે ત્યાગ સાત્વિક. ૯/૧૮


ક્ષેમ કર્મે નહીં રાગ, અક્ષેમે દ્વેષ તો નહીં;

તે ત્યાગી સત્વમાં યુક્ત, જ્ઞાનવાન, અસંશયી ૧૦/૧૮


શક્ય ના દેહધારીને સમૂળો ત્યાગ કર્મનો;

કર્મના ફળનો ત્યાગી, તે જ ત્યાગી ગણાય છે. ૧૧/૧૮


સારું, માઠું તથા મિશ્ર, ત્રિવિધ કર્મનું ફળ;

અત્યાગી પામતા તેને, સંન્યાસીઓ કદી નહીં. ૧૨/૧૮


સર્વ કર્મો તણી સિદ્ધિ થાય જે પાંચ કારણે;

કહ્યાં તે સાંખ્ય સિદ્ધાંતે, તેને તું મુજથી સુણ. ૧૩/૧૮


અધિષ્ઠાન તથા કર્તા, ત્રીજું વિવિધ સાધનો,

ક્રિયા નાના પ્રકારોની, ને ભળે દૈવ પાંચમું. ૧૪/૧૮


કાયા-વાચા-મને જે કર્મને આદરે નર,-

અન્યાયી અથવા ન્યાયી, -તેના આ પાંચ હેતુઓ. ૧૫/૧૮


આવું છતાંય આપે જ કર્તા છે એમ જે જુએ,

સંસ્કારહીન, દુર્બુદ્ધિ, સત્ય તે દેખાતો નથી. ૧૬/૧૮


“હું કરું છું” એ સમજી ને , જેની લેપાય બુદ્ધિ ના,

સૌ લોકને હણે તોયે, હણે-બંધાય તે નહીં. ૧૭/૧૮


જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા, - કર્મનાં ત્રણ પોષકો,

સાધનો, કર્મ ને કર્તા, - કર્મનાં ત્રણ પોષકો. ૧૮/૧૮


જ્ઞાન, કર્મ અને કર્તા – ગુણોથી ત્રણ જાતનાં,

વર્ણવ્યાં સાંખ્ય સિદ્ધાંતે, સુણ તેને યથાર્થ તું. ૧૯/૧૮


જેથી દેખે બધાં ભૂતે એક અવ્યય ભાવને –

સળંગ ભિન્ન રૂપોમાં – જાણ તે જ્ઞાન સાત્વિક. ૨૦/૧૮


જે જ્ઞાને સર્વ ભૂતોમાં નાના ભાવો જુદા જુદા,

જાણતો ભેદને પાડી,-જાણ તે જ્ઞાન રાજસ. ૨૧/૧૮


આસક્તિ યુક્ત જે કાર્ય, પૂર્ણ-શું એકમાં જુએ;

જેમાં આ તત્વ કે હેતુ,- અલ્પ તે જ્ઞાન તામસી. ૨૨/૧૮


નીમેલું, વણ આસક્તિ, રાગદ્વેષ વિના કર્યું;

ફળની લાલસા છોડી, સાત્વિક કર્મ તે કહ્યું. ૨૩/૧૮


મનમાં કામના સેવી, વા જે અહંકારથી કર્યું,

ઘણી જંજાળથી જેને, રાજસા કર્મ તે કહ્યું. ૨૪/૧૮


પરિણામ તથા હાનિ, હિંસા સામર્થ્ય ના ગણી,

આદરે મોહથી જેને, તામસા કર્મ તે કહ્યું. ૨૫/૧૮


નિ:સંગી, નિરહંકારી , ધૃતિ-ઉત્સાહથી ભર્યો,

યથાયશે નિર્વિકાર, કર્તા સાત્વિક તે કહ્યો. ૨૬/૧૮


રાગી, ને ફળનો વાંછું, લોભી, અસ્વચ્છ, હિંસક,

હર્ષશોકે છવાયેલો, કર્તા રાજસા તે કહ્યો. ૨૭/૧૮


આયોગી, ક્ષુદ્ર, ગર્વિષ્ઠ, અકર્મી, શઠ, આળસુ,

શોગિયો, દીર્ઘસૂત્રી જે કર્તા તામસ તે કહ્યો. ૨૮/૧૮


બુદ્વિ ને ધ્રુતિના ભેદો, ગુણોથી ત્રણ જાતના,

સંપૂર્ણ વર્ણવું તેને, સુણજે વિગતે જુદા. ૨૯/૧૮


પ્રવૃતિ શું, નિવૃતિ શું, કાર્યાકાર્ય, ભયાભય,

બંધ શું, મોક્ષ શું, જાણે, ગણી તે બુદ્વિ સાત્વિક. ૩૦/૧૮


ધર્માધર્મ તણો ભેદ, તેમ કાર્ય-અકાર્યનો,

અયથાર્થપણે જાણે, ગણી તે બુદ્વિ રાજસી. ૩૧/૧૮


અજ્ઞાને આવરેલી જે ધર્મ માને અધર્મને,

બધું જ અવળું પેખે, ગણી તે બુદ્વિ તામસી. ૩૨/૧૮


માં-ઇદ્રિય-પ્રાણોની ક્રિયાને જે ધરી રહે,

ધ્રુતિ અનન્યયોગે જે, તેને સાત્વિક જાણવી. ૩૩/૧૮


ધર્મે, અર્થે તથા કામે જે વડે ધારણા રહે,

આસક્તિ ને ફલેચ્છાથી, ધ્રુતિ જે રાજસી ગણી. ૩૪/૧૮


જે વડે ભય ને શોક, નિદ્રા, ખેદ તથા મેદ,

જે ન છોડે દુર્બુદ્ધિ, ધ્રુતિ તે તામસી ગણી. ૩૫/૧૮


સુખનાએ ત્રણે ભેદો હવે વર્ણવું, સંભાળ,

અભ્યાસે રાચતો જેમાં દૂ:ખનો નાશ તે કરે. ૩૬/૧૮


ઝેર સમાન આરંભે, અંતે અમૃત-તુલ્ય જે,

પ્રસન્ન ચિત્તને લીધે મળે તે સુખ સાત્વિક. ૩૭/૧૮


અમૃત-તુલ્ય આરંભે, અંતે ઝેર સમાન જે,

વિષયેન્દ્રિય સંયોગે મળે તે સુખ રાજસી. ૩૮/૧૮


આરંભે, અંતમાયે જે નિદ્રા-પ્રમાદ-આળસે,

આત્માને મોહમાં નાંખે, તામસી સુખ તે ગણ્યું. ૩૯/૧૮

નથી કો સત્વ પૃથ્વીમાં, સ્વર્ગે દેવો વિષેય કો,

જે હોય ગુણથી મુક્ત, જે આ પ્રકૃતિના ત્રણ. ૪૦/૧૮


બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શુદ્રોના જે સ્વભાવથી,

થયા ભિન્ન ગુણો, તેણે પાડ્યા છે કર્મ ભેદના. ૪૧/૧૮


શાંતિ, તપ, ક્ષમા, શૌચ, શ્રદ્ધા, નિગ્રહ, આર્જવ,

જ્ઞાન, વિદ્યાન-આ કર્મ બ્રાહ્મણોનું સ્વભાવથી. ૪૨/૧૮


શૌર્ય, તેજ, પ્રજારક્ષા, ભાગવું નહીં યુદ્ધથી,

દક્ષતા, દાન ને ધૈર્ય-ક્ષાત્રકર્મ સ્વભાવથી. ૪૩/૧૮


ખેતી, વેપાર, ગૌરક્ષા-વૈશ્યકર્મ સ્વભાવથી,

સેવાભાવ, ભર્યું કર્મ, -શૂદ્રોનું એ સ્વભાવથી. ૪૪/૧૮


માનવી પોતપોતાનાં કર્મે મગ્ન રહી તરે;

સ્વકર્મ આચરી જેમ મેળવે સિદ્ધિ, તે સુણ. ૪૫/૧૮


જેથી પ્રવર્તતાં ભૂતો, જેણે વિસ્તાર્યું અ બધું,

તેને સ્વકર્મથી પૂજી સીદ્ધિ ને મેળવે નર. ૪૬/૧૮


રૂડો સ્વધર્મ ઊણોયે સૂસેવ્યા પરધર્મથી;

સ્વભાવે જે ઠરે કર્મ, તે કર્યે દોષ ના થતો. ૪૭/૧૮


સહજ કર્મમાં દોષ હોય તો'યે ન છોડવું,

સર્વ કર્મે રહે દોષ, ધુમાડો જેમ અગ્નિમાં. ૪૮/૧૮


આસક્ત નહીં જે ક્યાંય જીતાત્મા, નિ:સ્પૃહી સદા;

પરમ નિષ્કર્મની સિદ્ધિ તેને સંન્યાસથી મળે. ૪૯/૧૮


પામીને સિદ્ધિને યોગી, જે રીતે બ્રહ્મ ને મેળવે,

સુણ સંક્ષેપમાં તેને,-નિષ્ઠા જે જ્ઞાનની પરં. ૫૦/૧૮


પવિત્ર બુદ્ધિને રાખે, નીમે ધ્રુતિથી મન,

શબ્દાદિ વિષયો ત્યાગે, રાગદ્વેષ બધા હણે; ૫૧/૧૮


એકાંતે રહે જમે થોડું, ધ્યાનયોગ સદા કરે,

જીતે કાયા-મનો-વાણી, દ્રઢ વૈરાગ્યને ધારે; ૫૨/૧૮


બળ-દર્પ-અહંકાર-કામ-ક્રોધ ટળી ગયા,

સંગ્રહ-મમતા છોડયા, શાંત તે બ્રહ્મમાં મળે. ૫૩/૧૮


બ્રહ્મનિષ્ઠ, પ્રસન્નાત્મા, શોચ કે કામના નહીં,

સમાન દ્રષ્ટિનો પામે મારી પરમ ભક્તિને. ૫૪/૧૮


ભક્તિએ તત્વથી જાણે, જેવો છું ને હું જેમ છું,

તત્વે આમ મ’ને જાણી, તે મળે મૂજમાં પછી. ૫૫/૧૮


મારો આશ્રિત તે કર્મો સર્વ નિત્ય કરે છતાં,

મારા અનુગ્રહે પામે અખંડ પદ શાશ્વત. ૫૬/૧૮


મ’ને અર્પી બધાં કર્મો મનથી, મત્પરાયણ,

મારામાં ચિત્ત ને રાખ બુદ્ધિયોગ વડે સદા. ૫૭/૧૮


મચ્ચિત્તે તરશે દૂ:ખો સર્વે મારા અનુગ્રહે,

ન સુણીશ અહંકારે, નિશ્ચે પામીશ નાશ તો. ૫૮/૧૮


જે અહંકારને સેવી માને છે કે ‘લડું નહીં’,

મિથ્યા પ્રયત્ન તે તારો, પ્રકૃતિ પ્રેરશે તને. ૫૯/૧૮


બંધાયેલો સ્વકર્મોથી, નિર્માયાં જે સ્વભાવથી,

મોહથી ઈચ્છતો ના જે, અવશે તે કરીશ તું. ૬૦/૧૮


વસીને સર્વ ભૂતોનાં હ્રદયે પરમેશ્વર,

માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પરે ધર્યા. ૬૧/૧૮


તેને જ શરણે જા તું, સર્વભાવથી, ભારત,

તેના અનુગ્રહે લૈશ શાંતિ ને શાશ્વત પદ. ૬૨/૧૮


આવું આ સારમાં સાર જ્ઞાન મેં તુજને કહ્યું,

તેને પૂર્ણ વિચારીને કર જેમ ગમે તને. ૬૩/૧૮


વળી, મારું પરમ વેણ, સારમાં સાર, આ સુણ,

મ’ને અત્યંત વા’લો તું, તેથી તારું કહું હિત. ૬૪/૧૮


મન, ભક્તિ મ’ને અર્પ, મ’ને પૂજ, મ’ને નમ,

મ’ને જ પામશે નિશ્ચે, મારું વચન લે, પ્રિય! ૬૫/૧૮


છોડીને સઘળા ધર્મો, મારું શરણું ધર;

હું તને સર્વ પાપોથી છોડાવીશ, નચિંત થા. ૬૬/૧૮


તપ ના, ભક્તિ ના જેમાં, ના સેવા-શ્રવણે રુચિ;

નિંદતાય મને તેને, કે’વું ના જ્ઞાન આ કદી. ૬૭/૧૮


જે આ જ્ઞાન મહા ગૂઢ આપશે મુજ ભક્તને,

પરાભક્તિ કરી મારી મ’ને નિશ્ચય પામશે. ૬૮/૧૮


તેથી અધિક ના કોઈ મારું પ્રિય કરે અહીં,

તેથી અધિક તો કોઈ મારો પ્રિય જાગે નહીં. ૬૯/૧૮


શીખી વિચારશે જે આ ધર્મસંવાદ આપણો,

મારી ઉપાસના તેણે જ્ઞાનયજ્ઞે કરી, ગણું. ૭૦/૧૮


જે શ્રદ્વાવાન નિષ્પાપ માનવી સુણશેય આ,

તેયે મુક્ત થઈ પામે લોકો જે પુણ્યવાનના. ૭૧/૧૮


પાર્થ, તેં સાંભળ્યું શું આ બધું એકાગ્ર ચિત્તથી?

અજ્ઞાન-મોહનો નાશ શું હવે તુજ કૈં થયો? ૭૨/૧૮


અર્જુન બોલ્યા –

ટળ્યો મોહ, થયું ભાન, તમ અનુગ્રહે, પ્રભો!

થયો છું સ્થિર નિ:શંક, માનીશ તમ શીખને. ૭૩/૧૮


સંજય બોલ્યા –

કૃષ્ણાર્જુન મહાત્માનો આવો સંવાદ અદભુત,

રોમ ઊભાં કરે તેવો, સાંભળ્યો મેં, મહીપતે. ૭૪/૧૮


કૃષ્ણ યોગેશ્વરે સાક્ષાત, સ્વમુખે બોલતાં સ્વયં,

મેં આ યોગ પરંગૂઢ સુણ્યો વ્યાસ-અનુગ્રહે. ૭૫/૧૮


આ કૃષ્ણાર્જુન સંવાદ, મહા અદભૂત, પાવન,

સ્મરી સ્મરી મ’ને તેનો હર્ષ થાય ફરી ફરી. ૭૬/૧૮


સ્મરી સ્મરીય તે રૂપ, હરિનું અતિ અદભુત,

મહા આશ્ચર્ય પામું ને હર્ષ થાય ફરી ફરી. ૭૭/૧૮


જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ, જ્યાં ધનુર્ધર અર્જુન,

ત્યાં વસે જય, ઐશ્વર્ય, લક્ષ્મી ને સ્થિર નીતિયે. ૭૮/૧૮

શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ગુણ પરિણામ' નામનો અઢારમો અધ્યાય સંપૂર્ણ