દૈવી અને આસુરી સંપત્તિ
અધ્યાય ૧૬મો
શ્રી ભગવાન બોલ્યા –
અભય, સત્વસંશુદ્ધિ, વ્યવસ્થા જ્ઞાન-યોગમાં,
નિગ્રહ, દાન, સ્વાધ્યાય, યજ્ઞ, સરળતા, તપ; ૧/૧૬
અહિંસા,સ ત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુન,
મૃદુતા, સ્થિરતા,લાજ, દયા જીવે, અલાલસા; ૨/૧૬
ક્ષમા, અમાન, અદ્રોહ, તેજ, ધૈર્ય, પવિત્રતા,
દૈવીભાવ વિષે જન્મે, તેની આ સંપદા થતી. ૩/૧૬
અજ્ઞાન, માન ને દર્પ, દંભ, ક્રોધ, કઠોરતા:
આસુરી ભાવમાં જન્મે, તેની આ સંપદા થતી. ૪/૧૬
મોક્ષ દે સંપદા દૈવી, કરે બંધન આસુરી;
મા કર, શોક, તું જન્મ્યો દૈવી સંપત્તિને લઈ. ૫/૧૬
દૈવી ને આસુરી બે છે સૃષ્ટિ ભૂતોની આ જગે;
વિસ્તારે વર્ણવી દૈવી, હવે સાંભળ આસુરી. ૬/૧૬
આસુરી જન જાણે ના પ્રવૃત્તિ કે નિવૃત્તિને,
ન સ્વચ્છતા, ન આચાર,સત્યે ના તેમણે વિષે. ૭/૧૬
અસત્ય જગ છે બોલે, અનાધાર, અનીશ્વર;
અન્યોન્ય યોગથી જનમ્યું,હેતુ કામ વિના નહીં ૮/૧૬
આવી તે રાખતા દ્રષ્ટિ ક્રૂરકર્મી, અબુદ્ધિઓ,
હૈયાસૂના ઘરે જન્મ પ્રજાક્ષયાર્થ ક્ષત્રુઓ. ૯/૧૬
દૂષ્પુર કામને સેવે, દંભ-માન-મદે ભર્યા.
મોહે દુરાગ્રહો બાંધી પાપાચરી પ્રવર્તતા. ૧૦/૧૬
વહે અપાર ચિંતાને મૃત્યુએ ઝાલતાં સુધી;
સુખ-ભોગ ગણે ધ્યેય, તે જ સર્વસ્વ માનતા. ૧૧/૧૬
આશપાશો વડે બાંધ્યા, કામ-ક્રોધ-પરાયણ;
ઈચ્છતા સુખ ભોગાર્થે અન્યાયે ધનસંચય. ૧૨/૧૬
‘આ પામ્યો આજ,ને કાલે કોડ પૂરો કરીશ આ;
‘આટલું મારું છે આજે, આયે મારું થશે ધન; ૧૩/૧૬
‘આ વેરી મેં હણ્યો છે ને બીજાયે હણનાર છું,
‘હું સર્વાધીશ ને ભોગી, સિદ્ધ હું, બળવાન, સુખી. ૧૪/૧૬
‘હું છું કુલીન, શ્રીમંત, બીજો મારા સમાન ના,
‘યજીશ, દઇશ, માં’ણીશ’-કહે અજ્ઞાન મોહથી. ૧૫/૧૬
ભૂલ્યા અનેક તર્કોમાં, ગૂંચાયા મોહજાળમાં;
આસક્ત સુખ ને ભોગે તે કૂડા નરકે પડે. ૧૬/૧૬
આત્મશ્લાધી ગુમાની તે, દંભ-માન-મદે ભર્યા,
કરે છે નામના યજ્ઞો દંભથી વિધિને ત્યજી. ૧૭/૧૬
બળ, દર્પ અહંકાર, કામ ને ક્રોધને વર્યાં;
સ્વ-પર દેહમાં મારો ઈર્ષાથી દ્રોહ તે કરે. ૧૮/૧૬
એવા દ્વેષી તથા ક્રૂર સંસારે જે નરાધામો,
તે દુષ્ટોને સદા નાખું આસુરી યોનીઓ વિષે. ૧૯/૧૬
આસુરી યોનિ પામેલા જન્મોજન્મે'ય મૂઢ તે,
મ’ને ન મેળવે, પામે ઝાઝી ઝાઝી અધોગતિ. ૨૦/૧૬
કામ, ક્રોધ તથા લોભ, નરક ના ત્રણ દ્વાર આ,
કરતાં આત્મનો ધાત, તેથી તે ત્યજવાં ત્રણે. ૨૧/૧૬
તમનાં આ ત્રણે દ્વારો, તેથી મુક્ત થઈ, પછી,
આચરી આત્મનું શ્રેય દેહી પામે પરંગતિ. ૨૨/૧૬
છોડીને શાસ્ત્રનો માર્ગ સ્વચ્છંદે વરતે નર,
તેને મળે નહીં સિદ્ધિ, ન સુખે, ના પરંગતિ. ૨૩/૧૬
માટે પ્રમાણવું શાસ્ત્ર કાર્યકાર્ય ઠરાવવાં; શાસ્ત્રથી વિધિને જાણી કર્મ આચરવું ધટે. ૨૪/૧૬
શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘દૈવી અને આસુરી સંપત્તિ ’ નામનો સોળ મો અધ્યાય સંપૂર્ણ.