ગુણથી ક્રિયાઓના ભેદ
અધ્યાય ૧૭મો
અર્જુન બોલ્યા-
શાસ્ત્રના વિધિને છોડી શ્રદ્ધાથી પૂજન કરે,
તેની નિષ્ઠા ગુણે કે’વી સત્વ, કે રાજ, કે તમ? ૧/૧૭
શ્રી ભગવાના બોલ્યા-
ત્રણ પ્રકારની શ્રદ્ધા દેહીઓની સ્વભાવથી-
સાત્વિકી, રાજસી, તેમ તામસી, સુણ તે સહુ. ૨/૧૭
જેવું જે જીવન સત્વ, શ્રદ્ધા તેવી જ તે વિષે,
શ્રદ્ધાએ આ ધડયો દેહી, જે શ્રદ્ધા તે જ તે બને. ૩/૧૭
સાત્વિકો દેવને પૂજે, રાજસો યક્ષ-રાક્ષસો;
પ્રેતો-ભૂતગણો પૂજે, જે લોકો તામસી જગે. ૪/૧૭
શાસ્ત્ર-વિરુદ્ધ ને ઘોર, જે જનો તપ આચરે;
અહંતા-દંભથી યુક્ત, કામ-રાગ-બળે ભર્યા; ૫/૧૭
દેહના પંચભૂતો ને હ્રદયે વસતા મ’ને,
પીડે જે અબુધો જાણ, તેના નિશ્ચય આસુરી. ૬/૧૭
આહારે પ્રિય સર્વેના ત્રણ પ્રકારના જુદા;
તેમ યજ્ઞો તપો, દાનો - તેના આ ભેદ સાંભળ. ૭/૧૭
આયુ, સત્વ,બળ,સ્વાસ્થ્ય,સુખ,પ્રીતિ,વધારતા
રસાળ, રોચક, સ્નિગ્ધ, સ્થિર તે સાત્વિક-પ્રિય. ૮/૧૭
ખારા, ખાટા, ઘણા ઊના, તીખા, લૂખા, બળે, ;
દે દૂ:ખ, શોક કે વ્યાધિ, આહારો રાજસ-પ્રિય. ૯/૧૭
પો’ર ટાઢો, થયો વાસી, ગંધાતો, સ્વાદ ઊતર્યો,
એઠો, નિષિદ્વ આહાર, તામસી જનને પ્રિય. ૧૦/૧૭
ન રાખી ફળની આશા, યજ્ઞે જ ધર્મ જાણતા,
સ્થિરચિત્તે થતો યજ્ઞ, વિધિપૂર્વક સાત્વિક. ૧૧/૧૭
ફળને દ્રષ્ટિમાં રાખી, તેમ જે દંભભાવથી,
જે યજ્ઞ થાય છે લોકે, રાજસી યજ્ઞ તે કહ્યો. ૧૨/૧૭
જેમાં ન વિધિ, ના મંત્ર, ન'યે સર્જન અન્નનું ;
ન દક્ષિણા, નહીં શ્રદ્ધા, તામસી યજ્ઞ તે કહ્યો. ૧૩/૧૭
દેવ-દ્વિજ-ગુરુ-જ્ઞાની તેની પૂજા, પવિત્રતા,
બ્રહ્મચર્ય, અહિંસા ને આર્જવ દેહનું તપ. ૧૪/૧૭
અખૂંચતું, સત્ય ને મીઠું હિતનું વેણ બોલવું;
તથા સ્વાધ્યાય, અભ્યાસ, વાણીનું તપ તે કહ્યું. ૧૫/૧૭
આત્મનિગ્રહ ને મૌન, મન કેરી પ્રસન્નતા,
મૃદુતા, ભાવની શુદ્ધિ, મનનું તપ તે કહ્યું. ૧૬/૧૭
યોગથી, અતિશ્રદ્ધાથી, આચારે આ ત્રણે તપો,
આ સેવી ફળની આશા, તે કહેવાય સાત્વિક. ૧૭/૧૭
સત્કાર-માન-પૂજાર્થે તથા જે દંભથી કરે;
તે તપ રાજસી લોકે, કહીં ચંચળ, અધ્રુવ. ૧૮/૧૭
મૂઢાગ્રહે તપે જેઓ પીડીને અંતરાત્મને,
પરના નાશ માટે વા, તપ તે તામસી કહ્યું. ૧૯/૧૭
કશો ના પાડ તોયે જે દેવાનો ધર્મ ઓળખી,
યોગ્ય પાત્રે-સ્થળે-કાળે આપે, તે દાન સાત્વિક. ૨૦/૧૭
ફેડવા પાછલો પાડ, હેતુ વા ફળનો ધરી,
કે કોચતા મને આપે, તે દાન રાજસી કહ્યું. ૨૧/૧૭
અપાત્રે દાન જે આપે, અયોગ્ય દેશકાળમાં,
વિના આદર-સત્કાર, તે દાન તામસી કહ્યું. ૨૨/૧૭
ૐ, તત, સત, ત્રણે નામે થાય નિર્દેશ બ્રહ્મનો ,
બ્રાહ્મણો, વેદ ને યજ્ઞો સજર્યા તેણે જ આદિમાં. ૨૩/૧૭
તેથી ओं (ऊ) વદી પહેલા, યજ્ઞ-દાન-તપ-ક્રિયા,
બ્રહ્મવાદી તણી નિત્ય પ્રવર્તે વિધિપૂર્વક. ૨૪/૧૭
तद વડે ફળને ત્યાગી, યજ્ઞ ને તપની ક્રિયા,
વિવિધ દાન કર્મોએ આચરે છે મુમુક્ષુઓ. ૨૫/૧૭
સારું ને સત્ય દર્શાવવા सत શબ્દ વપરાય છે;
તેમ सत શબ્દ યોજાય પ્રશંસાયોગ્ય કર્મમાં. ૨૬/૧૭
યજ્ઞે, તાપે તથા દાને વર્તે તેને'ય सत કહે;
તે માટે જે થતાં કર્મો, તે બધાં પણ सत કહ્યાં. ૨૭/૧૭
અશ્રદ્ધાથી કર્યા કર્મ, યજ્ઞ, દાન, તપો વળી;
असत કે ’વાય તે સર્વ, વ્યર્થ તે બેઉ લોકમાં. ૨૮/૧૭
શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ગુણથી ક્રિયાઓના ભેદ’ નામનો સત્તર મો અધ્યાય સંપૂર્ણ