ચિત્ત નિરોધ : ધ્યાન યોગ
અધ્યાય ૬
શ્રીભગવાન બોલ્યા:
ફળનો આશરો છોડી કરે કર્તવ્યકર્મ જે, તે સંન્યાસી તથા યોગી, ને જે નિર્યજ્ઞ, નિષ્ક્રિય. ૧/૬
સંન્યાસ જે કહે લોકે, તેને તું યોગ જાણજે;
વિના સંકલ્પને છોડ્યે યોગી થાય ન કોઇ'યે. ૨/૬
યોગમાં ચઢવા કાજે કર્મ કારણ તો કહ્યું;
યોગે સિદ્ધ થયેલાને શાંતિ કારણ તો કહ્યું. ૩/૬
જ્યારે વિષયભોગે કે કર્મે આસક્ત થાય ના,
સર્વ સંકલ્પસન્યાસી, યોગસિદ્ધ થયો ગણો. ૪/૬
આપને તારવો આપે, આપને ન ડૂબાડવો;
આપ જ આપનો બંધુ, આપ જ શત્રુ આપનો. ૫/૬
જીતેજે આપને આપ,તે આત્મા આત્મનો સખા;
જો અજિતેલ આત્માતો વર્તે આત્માજ શત્રુ શો ૬/૬
શાંતચિત્ત જિતાત્માનો પરમાત્મા સમધિમાં;
ટાઢે-તાપે સુખે-દુ:ખે, માનાપમાનમાં રહે. ૭/૬
જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત, બ્રહ્મનિષ્ઠ, જિંતેન્દ્રિય, યુક્ત
તેથી કહ્યો યોગી, સમલોષ્ટાશ્મકાંચન. ૮/૬
વા’લા,વેરી, સખા,મધ્ય,ઉદાસી દ્વેષ્ય ને સગા
સાધુ-અસાધુમાં જેને સમ બુદ્ધિ, વિશેષ તે. ૯/૬
આશા-પરિગ્રહો છોડી, મનબુદ્ધિ કરી વશ,
યોગીએ યોજવો આત્મા, એકાંતે, નિત્ય, એકલા. ૧૦/૬
શુદ્ધ સ્થળે ક્રમે નાંખી દર્ભ, ચર્મ અને પટ,
ન બહુ ઊંચું કે નીચું સ્થિર આસન વાળવું. ૧૧/૬
કરીને મન એકાગ્ર, રોકી ચિત્તેન્દ્રિય ક્રિયા
બેસીને આસને યોગ યોજવો આત્મશુદ્ધિનો. ૧૨/૬
કાયા,મસ્તક ને ડોક સીધાં, નિશ્ચળ ને સ્થિર;
રાખવી દૃષ્ટિનાસાગ્રે, આસપાસ ન ભાળવું. ૧૩/૬
શાંતવૃત્તિ, ભયે મુક્ત, વ્રતસ્થ, મત્પરાયણ,
મનને સંયમે રાખી મુજમાં ચિત્ત જોડવું. ૧૪/૬
આપને યોજાતો યોગી નિત્ય આમ મનોજયી;
પામેછે મોક્ષ દેનારી શાંતિ જે મુજમાં રહી ૧૫/૬
નહીં અત્યંત આહારે, ન તો કેવલ લાંઘણે,
ઊંઘ્યે જાગ્યેય ના ઝાઝે, યોગની સાધના થતી. ૧૬/૬
યોગ્ય વિહાર-આહાર, યોગ્ય પ્રવૃત્તિ કર્મમાં,
યોગ્ય જાગૃતિ ને નિદ્રા તો સીધે યોગ દુ:ખહા. ૧૭/૬
નિયમે પૂર્ણ રાખેલું ચિત્ત આત્મા વિષે ઠરે,
નિ:સ્પૃહ કામનાથી સૌ, ત્યારે તે યુક્ત જાણવો. ૧૮/૬
વાયુહીન સ્થળે જેમ હાલે ના જ્યોત દીપની,
સંયમી આત્મયોગીના ચિત્તની ઉપમા કહી. ૧૯/૬
યોગાભ્યાસે નિરોધેલું જ્યાં લે ચિત્ત વિરામને;
જ્યાં પેખી આત્મથી આત્મા પામે સંતોષ આત્મમાં ૨૦/૬
જે મળ્યે અન્ય કો લાભ ન માંગે તે થકી વધુ;
જેમાં અર્હી ચળે ના તે મોટાં'યે દુ:ખથી કદી. ૨૧/૬
દુ:ખના યોગથી મુક્ત એવો તે યોગ જાણવો;
પ્રસન્ન ચિત્તથી એવો યોગ નિશ્ચય યોજવો. ૨૨/૬
સંકલ્પે ઊઠતા કામો સંપૂર્ણ સઘળા ત્યજી,
મનથી ઇન્દ્રિયોને સૌ બધેથી નિયમે કરી, ૨૩/૬
ધીરે ધીરે થવુ શાંત ધૃતિને વશ બુદ્ધિથી,
આત્મમામાં મનને રાખી, ચિંતવવું ન કાંઇયે. ૨૪/૬
જ્યાંથી જ્યાંથી ચળી જાય મન ચંચળ,અસ્થિર,
ત્યાં ત્યાંથી નિયમે લાવી આત્મામાં કરવું વશ. ૨૫/૬
પ્રશાંત-મન, નિષ્પાપ, બ્રહ્મરૂપ થયેલ આ
શાંત-વિકાર યોગીને મળે છે સુખ ઉત્તમ ૨૬/૬
આમ નિષ્પાપ તે યોગી આત્માને યોજતો સદા,
સુખેથી બ્રહ્મ સંબંધી અત્યંત સુખ ભોગવે. ૨૮/૬
યોગે થયેલ યુક્તાત્મા સર્વત્ર સમદૃષ્ટિનો
દેખે સૌભૂતમાં આત્મા ને સૌ ભૂતો'ય આત્મમાં. ૨૯/૬
જે સર્વત્ર મ’ને દેખે, સર્વને મુજમાં વળી,
તેને વિયોગ ના મારો, મ’ને તેનો'ય ના થતો. ૩૦/૬
જે ભજે એકનિષ્ઠાથી સર્વ ભૂતે રહ્યા મ’ને,
વર્તતા સર્વ રીતે'યે તે યોગી મુજમાં રહ્યો. ૩૧/૬
આત્મસમાન સર્વત્ર જે દેખે સમબુદ્ધિથી,
જે આવે સુખ કે દુ:ખ, તે યોગી શ્રેષ્ઠ માનવો. ૩૨/૬
અર્જુન બોલ્યા:
સમત્વબુદ્ધિનો યોગ તમે જે આ કહ્યો મ’ને,
તેની ન સ્થિરતા દેખું, કાં જે ચંચળ તો મન. ૩૩/૬
મન ચંચળ મસ્તાની, અતિશે બળવાન તે,
તેનો નિગ્રહ તે માનું વાયુ શો કપરો ઘણો. ૩૪/૬
શ્રીભગવાન બોલ્યા:
મન ચંચળ તો સાચે, રોકવું કપરું અતિ,
તો'ય અભ્યાસ-વૈરાગ્યે તેને ઝાલવુ શક્ય છે. ૩૫/૬
આત્મસંયમ ના હોય, તો માનું યોગ દુર્લભ;
પ્રયત્નથી જિતાત્માને ઉપાયે શક્ય પામવો. ૩૬/૬
અર્જુન બોલ્યા :
અયતિ પણ શ્રદ્ધાળુ, યોગથી ભ્રષ્ટ ચિત્તનો,
યોગ સિદ્ધિ ન પામેલો તેવાની ગતિ શી થતી? ૩૭/૬
પામે નાશ નિરાધાર છૂટી કો વાદળી સમો,
બંનેથી તે થઇ ભ્રષ્ટ, ભૂલેલો બ્રહ્મમાર્ગને ? ૩૮/૬
મારોસંશય આ, કૃષ્ણ, સંપૂર્ણ ભાંગવો ઘટે,
નથી આપ વિના કોઇ જે આ સંશયને હણે. ૩૯/૬
શ્રીભગવાન બોલ્યા:
અહીં કે પરલોકેયે તેનો નાશ નથી કદી;
બાપુ, કલ્યાણ માર્ગે કો દુર્ગતિ પામતો નથી. ૪૦/૬
પામી એ પુણ્ય લોકોને, વસીને દીર્ઘકાળ ત્યાં,
શુચિ શ્રીમાનને ઘેર જન્મ લે યોગભ્રષ્ટ તે. ૪૧/૬
વા બુદ્ધિમાન યોગીને કુળે જ જન્મ તે ધરે;
ઘણો દુર્લભ તો આવો પામવો જન્મ આ જગે. ૪૨/૬
ત્યાં એ જ બુદ્ધિનો યોગ મેળવે પૂર્વજન્મનો;
ને ફરી સિદ્ધિને માટે કરે આગળ યત્ન તે. ૪૩/૬
પૂર્વના એ જ અભ્યાસે ખેંચાય અવશે'ય તે;
યોગ જિજ્ઞાસુ'યે તેથી શબ્દની પાર જાય તે. ૪૪/૬
ખંતથી કરતો યત્ન દોષોથી મુક્ત તે થઇ,
ઘણા જન્મે થઇ સિદ્ધ યોગી પામે પરંગતિ. ૪૫/૬
તપસ્વીથી ચડે યોગી, જ્ઞાનીઓથી'ય તે ચડે,
કર્મીઓથી ચડે યોગી, તેથી યોગી તું, પાર્થ, થા. ૪૬/૬
યોગીઓમાં'ય સર્વેમાં જે શ્રદ્ધાળુ મ’ને ભજે,
મારામાં ચિત્તને પ્રોઇ, તે યોગી શ્રેષ્ઠ મેં ગણ્યો. ૪૭/૬
શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ધ્યાનયોગ’ નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ