ચિત્ત નિરોધ : ધ્યાન યોગ

અધ્યાય ૬

શ્રીભગવાન બોલ્યા:

ફળનો આશરો છોડી કરે કર્તવ્યકર્મ જે, તે સંન્યાસી તથા યોગી, ને જે નિર્યજ્ઞ, નિષ્ક્રિય. ૧/૬

સંન્યાસ જે કહે લોકે, તેને તું યોગ જાણજે;

વિના સંકલ્પને છોડ્યે યોગી થાય ન કોઇ'યે. ૨/૬


યોગમાં ચઢવા કાજે કર્મ કારણ તો કહ્યું;

યોગે સિદ્ધ થયેલાને શાંતિ કારણ તો કહ્યું. ૩/૬


જ્યારે વિષયભોગે કે કર્મે આસક્ત થાય ના,

સર્વ સંકલ્પસન્યાસી, યોગસિદ્ધ થયો ગણો. ૪/૬

આપને તારવો આપે, આપને ન ડૂબાડવો;

આપ જ આપનો બંધુ, આપ જ શત્રુ આપનો. ૫/૬

જીતેજે આપને આપ,તે આત્મા આત્મનો સખા;

જો અજિતેલ આત્માતો વર્તે આત્માજ શત્રુ શો ૬/૬


શાંતચિત્ત જિતાત્માનો પરમાત્મા સમધિમાં;

ટાઢે-તાપે સુખે-દુ:ખે, માનાપમાનમાં રહે. ૭/૬


જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત, બ્રહ્મનિષ્ઠ, જિંતેન્દ્રિય, યુક્ત

તેથી કહ્યો યોગી, સમલોષ્ટાશ્મકાંચન. ૮/૬


વા’લા,વેરી, સખા,મધ્ય,ઉદાસી દ્વેષ્ય ને સગા

સાધુ-અસાધુમાં જેને સમ બુદ્ધિ, વિશેષ તે. ૯/૬


આશા-પરિગ્રહો છોડી, મનબુદ્ધિ કરી વશ,

યોગીએ યોજવો આત્મા, એકાંતે, નિત્ય, એકલા. ૧૦/૬


શુદ્ધ સ્થળે ક્રમે નાંખી દર્ભ, ચર્મ અને પટ,

ન બહુ ઊંચું કે નીચું સ્થિર આસન વાળવું. ૧૧/૬


કરીને મન એકાગ્ર, રોકી ચિત્તેન્દ્રિય ક્રિયા

બેસીને આસને યોગ યોજવો આત્મશુદ્ધિનો. ૧૨/૬


કાયા,મસ્તક ને ડોક સીધાં, નિશ્ચળ ને સ્થિર;

રાખવી દૃષ્ટિનાસાગ્રે, આસપાસ ન ભાળવું. ૧૩/૬


શાંતવૃત્તિ, ભયે મુક્ત, વ્રતસ્થ, મત્પરાયણ,

મનને સંયમે રાખી મુજમાં ચિત્ત જોડવું. ૧૪/૬


આપને યોજાતો યોગી નિત્ય આમ મનોજયી;

પામેછે મોક્ષ દેનારી શાંતિ જે મુજમાં રહી ૧૫/૬


નહીં અત્યંત આહારે, ન તો કેવલ લાંઘણે,

ઊંઘ્યે જાગ્યેય ના ઝાઝે, યોગની સાધના થતી. ૧૬/૬


યોગ્ય વિહાર-આહાર, યોગ્ય પ્રવૃત્તિ કર્મમાં,

યોગ્ય જાગૃતિ ને નિદ્રા તો સીધે યોગ દુ:ખહા. ૧૭/૬


નિયમે પૂર્ણ રાખેલું ચિત્ત આત્મા વિષે ઠરે,

નિ:સ્પૃહ કામનાથી સૌ, ત્યારે તે યુક્ત જાણવો. ૧૮/૬


વાયુહીન સ્થળે જેમ હાલે ના જ્યોત દીપની,

સંયમી આત્મયોગીના ચિત્તની ઉપમા કહી. ૧૯/૬


યોગાભ્યાસે નિરોધેલું જ્યાં લે ચિત્ત વિરામને;

જ્યાં પેખી આત્મથી આત્મા પામે સંતોષ આત્મમાં ૨૦/૬


જે મળ્યે અન્ય કો લાભ ન માંગે તે થકી વધુ;

જેમાં અર્હી ચળે ના તે મોટાં'યે દુ:ખથી કદી. ૨૧/૬

દુ:ખના યોગથી મુક્ત એવો તે યોગ જાણવો;

પ્રસન્ન ચિત્તથી એવો યોગ નિશ્ચય યોજવો. ૨૨/૬


સંકલ્પે ઊઠતા કામો સંપૂર્ણ સઘળા ત્યજી,

મનથી ઇન્દ્રિયોને સૌ બધેથી નિયમે કરી, ૨૩/૬


ધીરે ધીરે થવુ શાંત ધૃતિને વશ બુદ્ધિથી,

આત્મમામાં મનને રાખી, ચિંતવવું ન કાંઇયે. ૨૪/૬

જ્યાંથી જ્યાંથી ચળી જાય મન ચંચળ,અસ્થિર,

ત્યાં ત્યાંથી નિયમે લાવી આત્મામાં કરવું વશ. ૨૫/૬

પ્રશાંત-મન, નિષ્પાપ, બ્રહ્મરૂપ થયેલ આ

શાંત-વિકાર યોગીને મળે છે સુખ ઉત્તમ ૨૬/૬

આમ નિષ્પાપ તે યોગી આત્માને યોજતો સદા,

સુખેથી બ્રહ્મ સંબંધી અત્યંત સુખ ભોગવે. ૨૮/૬


યોગે થયેલ યુક્તાત્મા સર્વત્ર સમદૃષ્ટિનો

દેખે સૌભૂતમાં આત્મા ને સૌ ભૂતો'ય આત્મમાં. ૨૯/૬


જે સર્વત્ર મ’ને દેખે, સર્વને મુજમાં વળી,

તેને વિયોગ ના મારો, મ’ને તેનો'ય ના થતો. ૩૦/૬


જે ભજે એકનિષ્ઠાથી સર્વ ભૂતે રહ્યા મ’ને,

વર્તતા સર્વ રીતે'યે તે યોગી મુજમાં રહ્યો. ૩૧/૬

આત્મસમાન સર્વત્ર જે દેખે સમબુદ્ધિથી,

જે આવે સુખ કે દુ:ખ, તે યોગી શ્રેષ્ઠ માનવો. ૩૨/૬


અર્જુન બોલ્યા:

સમત્વબુદ્ધિનો યોગ તમે જે આ કહ્યો મ’ને,

તેની ન સ્થિરતા દેખું, કાં જે ચંચળ તો મન. ૩૩/૬


મન ચંચળ મસ્તાની, અતિશે બળવાન તે,

તેનો નિગ્રહ તે માનું વાયુ શો કપરો ઘણો. ૩૪/૬


શ્રીભગવાન બોલ્યા:

મન ચંચળ તો સાચે, રોકવું કપરું અતિ,

તો'ય અભ્યાસ-વૈરાગ્યે તેને ઝાલવુ શક્ય છે. ૩૫/૬

આત્મસંયમ ના હોય, તો માનું યોગ દુર્લભ;

પ્રયત્નથી જિતાત્માને ઉપાયે શક્ય પામવો. ૩૬/૬


અર્જુન બોલ્યા :

અયતિ પણ શ્રદ્ધાળુ, યોગથી ભ્રષ્ટ ચિત્તનો,

યોગ સિદ્ધિ ન પામેલો તેવાની ગતિ શી થતી? ૩૭/૬


પામે નાશ નિરાધાર છૂટી કો વાદળી સમો,

બંનેથી તે થઇ ભ્રષ્ટ, ભૂલેલો બ્રહ્મમાર્ગને ? ૩૮/૬


મારોસંશય આ, કૃષ્ણ, સંપૂર્ણ ભાંગવો ઘટે,

નથી આપ વિના કોઇ જે આ સંશયને હણે. ૩૯/૬


શ્રીભગવાન બોલ્યા:

અહીં કે પરલોકેયે તેનો નાશ નથી કદી;

બાપુ, કલ્યાણ માર્ગે કો દુર્ગતિ પામતો નથી. ૪૦/૬


પામી એ પુણ્ય લોકોને, વસીને દીર્ઘકાળ ત્યાં,

શુચિ શ્રીમાનને ઘેર જન્મ લે યોગભ્રષ્ટ તે. ૪૧/૬


વા બુદ્ધિમાન યોગીને કુળે જ જન્મ તે ધરે;

ઘણો દુર્લભ તો આવો પામવો જન્મ આ જગે. ૪૨/૬


ત્યાં એ જ બુદ્ધિનો યોગ મેળવે પૂર્વજન્મનો;

ને ફરી સિદ્ધિને માટે કરે આગળ યત્ન તે. ૪૩/૬


પૂર્વના એ જ અભ્યાસે ખેંચાય અવશે'ય તે;

યોગ જિજ્ઞાસુ'યે તેથી શબ્દની પાર જાય તે. ૪૪/૬


ખંતથી કરતો યત્ન દોષોથી મુક્ત તે થઇ,

ઘણા જન્મે થઇ સિદ્ધ યોગી પામે પરંગતિ. ૪૫/૬


તપસ્વીથી ચડે યોગી, જ્ઞાનીઓથી'ય તે ચડે,

કર્મીઓથી ચડે યોગી, તેથી યોગી તું, પાર્થ, થા. ૪૬/૬


યોગીઓમાં'ય સર્વેમાં જે શ્રદ્ધાળુ મ’ને ભજે,

મારામાં ચિત્તને પ્રોઇ, તે યોગી શ્રેષ્ઠ મેં ગણ્યો. ૪૭/૬


શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ધ્યાનયોગ’ નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ