કર્મયોગ
અધ્યાય ત્રીજો
અર્જુન બોલ્યા–
જો તમે માનતા એમ, કર્મથી બુદ્ધિ તો વડી,
તો પછી, ઘોર કર્મોમાં જોડો કેમ તમે મને ? ૧/૩
મિશ્રશાં વાક્યથી, જાણે મૂંઝવો મુજ બુદ્ધિને;
તે જ એક કહો નિશ્ચે, જે વડે શ્રેય પામું હું. ૨/૩
શ્રીભગવાન બોલ્યા–
બે જાતની કહી નિષ્ઠા આ લોકે પૂર્વથી જ મેં;
સાંખ્યની જ્ઞાનયોગે ને યોગીની કર્મયોગથી. ૩/૩
કર્મ ન આદરે તેથી નિષ્કર્મી થાય ના જન;
ન તો કેવળ સંન્યાસે મેળવે પૂર્ણ સિદ્ધિને. ૪/૩
રહે ક્ષણેય ના કોઇ ક્યારે કર્મ કર્યા વિના;
પ્રકૃત્તિના ગુણે સર્વે અ'વશે કર્મ આચરે. ૫/૪
રોકી કર્મેન્દ્રિયો રાખે, ચિત્તમાં સ્મરતો રહે;
વિષયોને મહામૂઢ—મિથ્યાચાર ગણાય તે ૬/૩
મનથી ઇંદ્રિયો નીમી આસક્તિવિણ આચરે,
કર્મેન્દ્રિયે કર્મયોગી, તે મનુષ્ય વિશેષ છે. ૭/૩
નીમેલાં કર કર્મો તું, ચડે કર્મ અકર્મથી;
ન તારી દેહયાત્રાયે સિદ્ધ થાય અકર્મથી. ૮/૩
વિના યજ્ઞાર્થકર્મોથી આ લોકે કર્મબંધન;
માટે આસક્તિને છોડી યજ્ઞાર્થે કર્મ આચર. ૯/૩
યજ્ઞ સાથ પ્રજા સર્જી બ્રહ્મા પૂર્વે વદ્યા હતા—
“વધજો આ થકી, થાજો તમારી કામધેનુ આ. ૧૦/૩
દેવોને રીઝવો આથી, રીઝવો તમનેય તે;
અન્યોન્ય રીઝવી એમ, પરમ શ્રેય મેળવો. ૧૧/૩
રીઝેલા યજ્ઞથી દેવો આપશે ઇષ્ટ ભોગને;
તેઓ દે, તેઅને ના દે, તેવો ખાનાર ચોર છે” ૧૨/૩
યજ્ઞશેષ જમી સંતો છૂટે છે સર્વ પાપથી;
પોતા માટે જ જે રાંધે, તે પાપી પાપ ખાય છે. ૧૩/૩
અન્નથી ઊપજે જીવો; વૃષ્ટિથી અન્ન નીપજે;
યજ્ઞથી થાય છે વૃષ્ટિ; કર્મથી યજ્ઞ ઉદ્ભવે; ૧૪/૩
બ્રહ્મથી ઊપજ્યું કર્મ; બ્રહ્મ અક્ષરથી થયું;
સર્વવ્યાપક તે બ્રહ્મ આમ યજ્ઞે સદા રહ્યું. ૧૫/૩
લોકે આવું પ્રવર્તેલું ચક્ર જે ચલવે નહીં,
ઇંદ્રિયારામ તે પાપી વ્યર્થ જીવન ગાળતો. ૧૬/૩
આત્મામાં જ રમે જેઓ, આત્માથી તૃપ્ત જે રહે,
આત્મામાંહે જ સંતુષ્ટ, તેને કો’ કાર્ય ના રહ્યું. ૧૭/૩
કરે કે ન કરે તેથી તેને કો’ હેતુ ના જગે;
કોઇયે ભૂતમાં તેને કશો સ્વાર્થ રહ્યો નહીં. ૧૮/૩
તેથી થઇ અનાસક્ત આચર કાર્ય કર્મને,
અસંગે આચરી કર્મ શ્રેયને પામતો નર. ૧૯/૩
કર્મ વડે જ સંસિદ્ધિ મેળવી જનકાદિએ;
લોકસંગ્રહ પેખીયે તને તે કરવાં ઘટે. ૨૦/૩
શ્રેષ્ઠ લોકો કરે જે જે, તે જ અન્ય જનો કરે;
તે જેને માન્યતા આપે, તે રીતે લોક વર્તતા. ૨૧/૩
ત્રણે લોકે મ’ને કાંઇ બાકી કાર્ય રહ્યું નથી;
અપામ્યું પામવા જેવું, તોયે હું વર્તુ કર્મમાં. ૨૨/૩
કદાચે જો પ્રવર્તું ના કર્મે આળસને ત્યજી,
અનુસરે મનુષ્યોયે સર્વથા મુજ માર્ગને. ૨૩/૩
પામે વિનાશ આ સૃષ્ટિ જો હું કર્મ ન આચરું;
થાઉં સંકરનો કર્તા, મેટનારો પ્રજાતણો. ૨૪/૩
જેમ આસક્તિથી કર્મ અજ્ઞાની પુરુષો કરે;
તેમ જ્ઞાની અનાસક્ત, લોકસંગ્રહ ઇચ્છતો. ૨૫/૩
કર્મે આસક્ત અજ્ઞોનો કરવો બુદ્ધિભેદ ના;
જ્ઞાનીએ આચરી યોગે શોધવાં સર્વ કર્મને. ૨૬/૩
પ્રકૃત્તિના ગુણોથી જ સર્વે કર્મો સદા થતાં,
અહંકારે બની મૂઢ માને છે નર, ‘હું કરું’ ૨૭/૩
ગુણકર્મ વિભાગોના તત્ત્વને જાણનાર તો
‘ગુણો વર્તે ગુણોમાંહી’ - જાણી આસક્ત થાય ના. ૨૮/૩
પ્રકૃત્તિના ગુણે મૂઢ ચોંટે છે ગુણ કર્મમાં;
તેવા અલ્પજ્ઞ મંદોને જ્ઞાનીએ ન ચળાવવા. ૨૯/૩
મારામાં સર્વ કર્મોને અર્પી અધ્યાત્મબુદ્ધિથી,
આશા ને મમતા છોડી, નિર્વિકાર થઇ લડ. ૩૦/૩
મારા આ મતને માની વર્તે જે માનવો સદા,
શ્રદ્ધાળુ, મન નિષ્પાપ, છૂટે તેઓય કર્મથી. ૩૧/૩
મનમાં પાપ રાખી જે મારા મતે ન વર્તતા,
સકલજ્ઞાનહીણા તે અબુદ્ધિ નાશ પામતા. ૩૨/૨
જેવી પ્રકૃત્તિ પોતાની જ્ઞાનીયે તેમ વર્તતો;
સ્વભાવે જાય છે પ્રાણી, નિગ્રહે કેટલું વળે ? ૩૩/૩
ઇન્દ્રિયોને સ્વઅર્થોમાં રાગ ને દ્વેષ જે રહે,
તેમને વશ થાવું ના, દેહીના વાટશત્રુ તે. ૩૪/૩
રૂડો સ્વધર્મ ઊણોયે સુસેવ્યા પરધર્મથી;
સ્વધર્મે મૃત્યુયે શ્રેય, પરધર્મ ભયે ભર્યો. ૩૫/૩
અર્જુન બોલ્યા–
તો પછી નર કોનાથી પ્રેરાઇ પાપ આચરે–
ન ઇચ્છતાંય, જાણે કે હોય જોડાયેલો બળે? ૩૬/૩
શ્રી ભગવાન બોલ્યા–
એ તો કામ તથા ક્રોધ, જન્મ જેનો રજોગુણે,
મહાભક્ષી મહાપાપી, વેરી તે જાણજે જગે. ૩૭/૩
ધુમાડે અગ્નિ ઢંકાય, રજે ઢંકાય દર્પણ,
ઓરથી ગર્ભ ઢંકાય, તેમ જ જ્ઞાન કામથી. ૩૮/૩
કામ રૂપી મહાઅગ્નિ, તૃપ્ત થાય નહીં કદી,
તેનાથી જ્ઞાન ઢંકાયું, જ્ઞાનીનો નિત્યશત્રુ તે ૩૯/૩
ઇન્દ્રિયો, મન ને બુદ્ધિ, કામનાં સ્થાન સૌ કહ્યાં;
તે વડે જ્ઞાન ઢાંકી તે પમાડે મોહ જીવને. ૪૦/૩
તે માટે નિયમે પ્હેલાં લાવીને ઇન્દ્રિયો બધી,
જ્ઞાનવિજ્ઞાનઘાતી તે પાપીને કર દૂર તું. ૪૧/૩
ઇન્દ્રિયોને કહી સૂક્ષ્મ, છે સૂક્ષ્મ ઇન્દ્રિયથી મન,
મનથી સૂક્ષ્મ છે બુદ્ધિ, બુદ્ધિથી સૂક્ષ્મ તે રહ્યો. ૪૨/૩
એમ બુદ્ધિપરો જાણી , આપથી આપ નિગ્રહી,
દુર્જેય કામરૂપી આ વેરીનો કર નાશ તું. ૪૩/૩
શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘કર્મયોગ’ નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ