અર્જુન-વિષાદ-યોગ

અધ્યાય ૦૧

શ્રી કિશોરલાલ મશરૂવાળા કૃત

ભગવદ્ ગીતા

નો

સમશ્લોકી ગુજરાતી અનુવાદ

ધૃતરાષ્ટ્ર બોલ્યા–

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુદ્ધાર્થે એકઠા થઇ,

મારા ને પાંડુના પુત્રો વર્ત્યા શી રીતે, સંજય? ૧/૧

સંજય બોલ્યા –

દેખી પાંડવની સેના ઊભેલી વ્યૂહને રચી,

દ્રોણાચાર્ય કને પોં’ચી રાજા દુર્યોધને કહ્યું: ૨/૧

દુર્યોધન બોલ્યા–

જુઓ, આચાર્ય, આ મોટી સેનાઓ પાંડવો તણી,

જે તમ બુદ્ધિમાન્ શિષ્ય દ્રુપદે વ્યૂહમાં રચી ૩/૧


અહીં શૂરા ધનુર્ધારી ભીમ-અર્જુન શા રણે;

યુયુધાન, વિરાટેય, દ્રુપદેય મહારથી; ૪/૧


કાશી ને શિબિના શૂરા નરેન્દ્રો, ધૃષ્ટકેતુયે,

ચેકિતાન, તથા રાજા પુરુંજિત કુંતિભોજનો: ૫/૧

(કુંતિભોજ= ભૂરિશ્રવા, કુંતિભોજ એ કુળનું નામ છે.)

પરાક્રમી યુધામન્યુ, ઉત્તમૌજા પ્રતાપવાન્ , ૬/૧


આપણા પક્ષના મુખ્ય, તેય, આચાર્ય ઓળખો;

જાણવા યોગ્ય જે મારા સેનાના નાયકો કહું : ૭/૧


આપ, ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજ્યી કૃપ,

અશ્વત્થામા, વિકર્ણેય, સોમદત્તતણો સુત. ૮/૧


બીજાયે બહુ છે શૂરા, હું-કાજે જીવ જે ત્યજે;

સર્વે યુદ્ધકળાપૂર્ણ, અસ્ત્રશસ્ત્રો વડે સજ્યા. ૯/૧


અગણ્ય આપણી સેના, જેના રક્ષક ભીષ્મ છે;

ગણ્ય છે એમની સેના, જેનો રક્ષક ભીમ છે. ૧૦/૧


જેને જે ભાગમાં રાખ્યા, તે તે સૌ મોરચે રહી;

ભીષ્મની સર્વ બાજુથી રક્ષા સૌ કરજો ભલી. ૧૧/૧


સંજય બોલ્યા–

તેનો વધારવા હર્ષ, કરીને સિંહનાદ ત્યાં

પ્રતાપી વૃદ્ધ દાદાએ બજાવ્યો શંખ જોરથી. ૧૨/૧


પછી તો શંખ, ભેરી ને નગારાં, રણશિંગડાં

વાગ્યાં સૌ સામટાં તેનો પ્રચંડ ધ્વનિ ઊપજ્યો. ૧૩/૧


તે પછી શ્વેત અશ્વોથી જોડાયેલા મહારથે

બેઠેલા માધવે-પાર્થે વગાડ્યા દિવ્ય શંખ બે. ૧૪/૧


પાંચજન્ય હૃષીકેશે, દેવદત્ત ધનંજયે,

વાયો પૌંડ્ર મહાશંખ ભીમકર્મા વૃકોદરે: ૧૫/૧


અનંતજયને રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે,

નકુલે-સહદેવેયે, સુઘોષ-મણિપુષ્પક: ૧૬/૧


કાશીરાજા મહાધંવા ને શિખંડી મહારથી,

ધૃષ્ટદ્યુમ્ન, વિરાટેય, અપરાજિત સાત્યકિ; ૧૭/૧


દ્રુપદ, દ્રૌપદીપુત્રો, અભિમન્યુ મહાભુજા,

સહુએ સર્વ બાજુથી શંખો ફૂંક્યા જુદા જુદા. ૧૮/૧


તે ઘોષે કૌરવો કેરી છાતીના કટકા કર્યા,

અને આકાશ ને પૃથ્વી ભર્યા ગર્જી ભયંકર. ૧૯/૧


ત્યાં શસ્ત્ર ચાલવા ટાણે કૌરવોને કપિધ્વજે,

વ્યવસ્થાથી ખડા ભાળી ઉઠાવ્યું સ્વધનુષ્યને, ૨૦/૧


હૃશિકેશને આવું કહ્યું વેણ, મહીપતે:


અર્જુન બોલ્યા–

બન્ને આ સૈન્યની મધ્યે લો મારો રથ, અચ્યુત, ૨૧/૧


જ્યાં સુધી નીરખું કોણ ઊભા આ યુદ્ધ ઇચ્છતા,

ને કોણ મુજ સાથે આ રણસંગ્રામ ખેલશે. ૨૨/૧


અહીં ટોળે વળેલા આ યોદ્ધાઓ જોઉં તો જરા,

પ્રિય જે ઇચ્છતા યુદ્ધે દુર્યોધન કુબુદ્ધિનું. ૨૩/૧


સંજય બોલ્યા—

ગુડાકેશ તણા આવા વેણને માધવે સુણી

બે સૈન્ય વચમાં ઊભો કીધો તે ઉત્તમ રથ; ૨૪/૧


ભીષ્મ ને દ્રોણની સામે, ને સૌ રાજા ભણી ફરી,

બોલ્યા માધવ,”જો પાર્થ, કૌરવોના સમૂહ આ.” ૨૫/૧


ત્યાં દીઠા અર્જુને ઊભા બન્નેયે સૈન્યને વિશે–

ગુરુઓ, બાપ, ને દાદા, મામાઓ, ભાઇઓ, સખા, ૨૬/૧


સસરા, દીકરા, પોતા, સુહૃદો, સ્વજનો ઘણા :

અવા સર્વે સગાવ્હાલા ઊભેલા જોઇ, અર્જુન, ૨૭/૧


અત્યંત રાંક ભાવે શું, બોલ્યા ગળગાળા થઇ:

અર્જુન બોલ્યા–

દેખી આ સ્વજનો સામે ઊભેલા યુદ્ધ ઇચ્છતા, ૨૮/૧


ગાત્રો ઢીલાં પડે મારાં, મોઢામાં શોષ ઊપજે;

કંપારી દેહમાં ઊઠે, રૂંવાડાં થાય છે ખડાં; ૨૯/૧


ગાંડીવ હાથથી છૂટે, વ્યાપે દાહ ત્વચા વિશે;

રહેવાય નહીં ઊભા, જાણે મારું ભમે મન. ૩૦/૧


ચિહ્નનોયે અવળાં સર્વે, મ’ને દેખાય, કેશવ;

જોઉં નહીં કંઇ શ્રેય હણીને સ્વજનો રણે. ૩૧/૧


નથી હું ઇચ્છતો જીત, નહીં રાજ્ય, નહીં સુખો;

રાજ કે ભોગ કે જીવ્યું, અમારે કામનું કશું ? 32


ઇચ્છીએ જેમને કાજે રાજ્ય કે ભોગ કે સુખો,

તે આ ઊભા રણે આવી ત્યજીને પ્રાણ-વૈભવો. ૩૩/૧


ગુરુઓ, બાપ ને બેટા, દાદા-પોતા વળી ઘણા,

મામાઓ, સસરા, સાળા, સંબંધો, સ્વજનો બધા. ૩૪/૧


ન ઇચ્છું હણવા આ સૌ, ભલે જાતે હણાઉં હું;

ત્રિલોક-રાજ્ય કાજેયે, પૃથ્વી કારણ કેમ તો ? ૩૫/૧


હણીને કૌરવો સર્વે અમારું પ્રિય શું થશે?

અમને આતતાયીને હણ્યાનું પાપ કેવળ ! ૩૬/૧


માટે ન હણવા યોગ્ય કૌરવો, અમ બંધુઓ;

સ્વજનોને હણી કેમ પામીએ સુખને અમે ? ૩૭/૧


લોભથી વણસી બુદ્ધિ તેથી તે પેખતા નથી

કુળક્ષયે થતો દોષ મિત્રદ્રોહેય પાપ જે. ૩૮/૧


વળવા પાપથી પાછા આવા અમે કાં ન વિચારવું,-

કુળક્ષયે થતો દોષ દેખતા સ્પષ્ટ જો અમે ? ૩૯/૧


કુળક્ષયે થતો નાશ કુળધર્મો સનાતન;

ધર્મનાશે કુળે આખે વર્તે આણ અધર્મની. ૪૦/૧


અધર્મ વ્યાપતા લાજ લૂંટાય કુળનારની.,

કુળસ્ત્રીઓ થયે ભ્રષ્ટ વર્ણશંકર નીપજે. ૪૧/૧


નરકે જ પડે તેથી કુળ ને કુળઘાતકો;

પિતરોયે પડે હેઠા ન મળ્યે પિંડતર્પણ. ૪૨/૧


કુળઘાતકના આવા દોષે સંકરકારક

ઊખડે જાતિધર્મો ને કુળધર્મો સનાતન. ૪૩/૧


ઊખડે જે મનુષ્યોના કુળના ધર્મ, તેમનો

સદાયે નરકે વાસ—એવું છે સાંભળ્યું અમે. ૪૪/૧


અહો કેવું મહાપાપ માંડ્યું આદરવા અમે !

કે રાજ્યસુખના લોભે નીકળ્યા હણવા સગા ! ૪૫/૧


ન કરતાં પ્રતીકાર મ’ને નિ:શસ્ત્રને હણે

રણમાં કૌરવો શસ્ત્રે, તેમાં ક્ષેમ મને વધુ. ૪૬/૧


સંજય બોલ્યા—

આમ બોલી રણે પાર્થ ગયો બેસી રથાસને,

ધનુષ્યબાણને છોડી, શોકૌદ્વેગથી ભર્યો. 47


‘અર્જુન-વિષાદ-યોગ’ નામનો પહેલો અધ્યાય પૂરો.