અર્જુન-વિષાદ-યોગ
અધ્યાય ૦૧
શ્રી કિશોરલાલ મશરૂવાળા કૃત
ભગવદ્ ગીતા
નો
સમશ્લોકી ગુજરાતી અનુવાદ
ધૃતરાષ્ટ્ર બોલ્યા–
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુદ્ધાર્થે એકઠા થઇ,
મારા ને પાંડુના પુત્રો વર્ત્યા શી રીતે, સંજય? ૧/૧
સંજય બોલ્યા –
દેખી પાંડવની સેના ઊભેલી વ્યૂહને રચી,
દ્રોણાચાર્ય કને પોં’ચી રાજા દુર્યોધને કહ્યું: ૨/૧
દુર્યોધન બોલ્યા–
જુઓ, આચાર્ય, આ મોટી સેનાઓ પાંડવો તણી,
જે તમ બુદ્ધિમાન્ શિષ્ય દ્રુપદે વ્યૂહમાં રચી ૩/૧
અહીં શૂરા ધનુર્ધારી ભીમ-અર્જુન શા રણે;
યુયુધાન, વિરાટેય, દ્રુપદેય મહારથી; ૪/૧
કાશી ને શિબિના શૂરા નરેન્દ્રો, ધૃષ્ટકેતુયે,
ચેકિતાન, તથા રાજા પુરુંજિત કુંતિભોજનો: ૫/૧
(કુંતિભોજ= ભૂરિશ્રવા, કુંતિભોજ એ કુળનું નામ છે.)
પરાક્રમી યુધામન્યુ, ઉત્તમૌજા પ્રતાપવાન્ , ૬/૧
આપણા પક્ષના મુખ્ય, તેય, આચાર્ય ઓળખો;
જાણવા યોગ્ય જે મારા સેનાના નાયકો કહું : ૭/૧
આપ, ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજ્યી કૃપ,
અશ્વત્થામા, વિકર્ણેય, સોમદત્તતણો સુત. ૮/૧
બીજાયે બહુ છે શૂરા, હું-કાજે જીવ જે ત્યજે;
સર્વે યુદ્ધકળાપૂર્ણ, અસ્ત્રશસ્ત્રો વડે સજ્યા. ૯/૧
અગણ્ય આપણી સેના, જેના રક્ષક ભીષ્મ છે;
ગણ્ય છે એમની સેના, જેનો રક્ષક ભીમ છે. ૧૦/૧
જેને જે ભાગમાં રાખ્યા, તે તે સૌ મોરચે રહી;
ભીષ્મની સર્વ બાજુથી રક્ષા સૌ કરજો ભલી. ૧૧/૧
સંજય બોલ્યા–
તેનો વધારવા હર્ષ, કરીને સિંહનાદ ત્યાં
પ્રતાપી વૃદ્ધ દાદાએ બજાવ્યો શંખ જોરથી. ૧૨/૧
પછી તો શંખ, ભેરી ને નગારાં, રણશિંગડાં
વાગ્યાં સૌ સામટાં તેનો પ્રચંડ ધ્વનિ ઊપજ્યો. ૧૩/૧
તે પછી શ્વેત અશ્વોથી જોડાયેલા મહારથે
બેઠેલા માધવે-પાર્થે વગાડ્યા દિવ્ય શંખ બે. ૧૪/૧
પાંચજન્ય હૃષીકેશે, દેવદત્ત ધનંજયે,
વાયો પૌંડ્ર મહાશંખ ભીમકર્મા વૃકોદરે: ૧૫/૧
અનંતજયને રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે,
નકુલે-સહદેવેયે, સુઘોષ-મણિપુષ્પક: ૧૬/૧
કાશીરાજા મહાધંવા ને શિખંડી મહારથી,
ધૃષ્ટદ્યુમ્ન, વિરાટેય, અપરાજિત સાત્યકિ; ૧૭/૧
દ્રુપદ, દ્રૌપદીપુત્રો, અભિમન્યુ મહાભુજા,
સહુએ સર્વ બાજુથી શંખો ફૂંક્યા જુદા જુદા. ૧૮/૧
તે ઘોષે કૌરવો કેરી છાતીના કટકા કર્યા,
અને આકાશ ને પૃથ્વી ભર્યા ગર્જી ભયંકર. ૧૯/૧
ત્યાં શસ્ત્ર ચાલવા ટાણે કૌરવોને કપિધ્વજે,
વ્યવસ્થાથી ખડા ભાળી ઉઠાવ્યું સ્વધનુષ્યને, ૨૦/૧
હૃશિકેશને આવું કહ્યું વેણ, મહીપતે:
અર્જુન બોલ્યા–
બન્ને આ સૈન્યની મધ્યે લો મારો રથ, અચ્યુત, ૨૧/૧
જ્યાં સુધી નીરખું કોણ ઊભા આ યુદ્ધ ઇચ્છતા,
ને કોણ મુજ સાથે આ રણસંગ્રામ ખેલશે. ૨૨/૧
અહીં ટોળે વળેલા આ યોદ્ધાઓ જોઉં તો જરા,
પ્રિય જે ઇચ્છતા યુદ્ધે દુર્યોધન કુબુદ્ધિનું. ૨૩/૧
સંજય બોલ્યા—
ગુડાકેશ તણા આવા વેણને માધવે સુણી
બે સૈન્ય વચમાં ઊભો કીધો તે ઉત્તમ રથ; ૨૪/૧
ભીષ્મ ને દ્રોણની સામે, ને સૌ રાજા ભણી ફરી,
બોલ્યા માધવ,”જો પાર્થ, કૌરવોના સમૂહ આ.” ૨૫/૧
ત્યાં દીઠા અર્જુને ઊભા બન્નેયે સૈન્યને વિશે–
ગુરુઓ, બાપ, ને દાદા, મામાઓ, ભાઇઓ, સખા, ૨૬/૧
સસરા, દીકરા, પોતા, સુહૃદો, સ્વજનો ઘણા :
અવા સર્વે સગાવ્હાલા ઊભેલા જોઇ, અર્જુન, ૨૭/૧
અત્યંત રાંક ભાવે શું, બોલ્યા ગળગાળા થઇ:
અર્જુન બોલ્યા–
દેખી આ સ્વજનો સામે ઊભેલા યુદ્ધ ઇચ્છતા, ૨૮/૧
ગાત્રો ઢીલાં પડે મારાં, મોઢામાં શોષ ઊપજે;
કંપારી દેહમાં ઊઠે, રૂંવાડાં થાય છે ખડાં; ૨૯/૧
ગાંડીવ હાથથી છૂટે, વ્યાપે દાહ ત્વચા વિશે;
રહેવાય નહીં ઊભા, જાણે મારું ભમે મન. ૩૦/૧
ચિહ્નનોયે અવળાં સર્વે, મ’ને દેખાય, કેશવ;
જોઉં નહીં કંઇ શ્રેય હણીને સ્વજનો રણે. ૩૧/૧
નથી હું ઇચ્છતો જીત, નહીં રાજ્ય, નહીં સુખો;
રાજ કે ભોગ કે જીવ્યું, અમારે કામનું કશું ? 32
ઇચ્છીએ જેમને કાજે રાજ્ય કે ભોગ કે સુખો,
તે આ ઊભા રણે આવી ત્યજીને પ્રાણ-વૈભવો. ૩૩/૧
ગુરુઓ, બાપ ને બેટા, દાદા-પોતા વળી ઘણા,
મામાઓ, સસરા, સાળા, સંબંધો, સ્વજનો બધા. ૩૪/૧
ન ઇચ્છું હણવા આ સૌ, ભલે જાતે હણાઉં હું;
ત્રિલોક-રાજ્ય કાજેયે, પૃથ્વી કારણ કેમ તો ? ૩૫/૧
હણીને કૌરવો સર્વે અમારું પ્રિય શું થશે?
અમને આતતાયીને હણ્યાનું પાપ કેવળ ! ૩૬/૧
માટે ન હણવા યોગ્ય કૌરવો, અમ બંધુઓ;
સ્વજનોને હણી કેમ પામીએ સુખને અમે ? ૩૭/૧
લોભથી વણસી બુદ્ધિ તેથી તે પેખતા નથી
કુળક્ષયે થતો દોષ મિત્રદ્રોહેય પાપ જે. ૩૮/૧
વળવા પાપથી પાછા આવા અમે કાં ન વિચારવું,-
કુળક્ષયે થતો દોષ દેખતા સ્પષ્ટ જો અમે ? ૩૯/૧
કુળક્ષયે થતો નાશ કુળધર્મો સનાતન;
ધર્મનાશે કુળે આખે વર્તે આણ અધર્મની. ૪૦/૧
અધર્મ વ્યાપતા લાજ લૂંટાય કુળનારની.,
કુળસ્ત્રીઓ થયે ભ્રષ્ટ વર્ણશંકર નીપજે. ૪૧/૧
નરકે જ પડે તેથી કુળ ને કુળઘાતકો;
પિતરોયે પડે હેઠા ન મળ્યે પિંડતર્પણ. ૪૨/૧
કુળઘાતકના આવા દોષે સંકરકારક
ઊખડે જાતિધર્મો ને કુળધર્મો સનાતન. ૪૩/૧
ઊખડે જે મનુષ્યોના કુળના ધર્મ, તેમનો
સદાયે નરકે વાસ—એવું છે સાંભળ્યું અમે. ૪૪/૧
અહો કેવું મહાપાપ માંડ્યું આદરવા અમે !
કે રાજ્યસુખના લોભે નીકળ્યા હણવા સગા ! ૪૫/૧
ન કરતાં પ્રતીકાર મ’ને નિ:શસ્ત્રને હણે
રણમાં કૌરવો શસ્ત્રે, તેમાં ક્ષેમ મને વધુ. ૪૬/૧
સંજય બોલ્યા—
આમ બોલી રણે પાર્થ ગયો બેસી રથાસને,
ધનુષ્યબાણને છોડી, શોકૌદ્વેગથી ભર્યો. 47
‘અર્જુન-વિષાદ-યોગ’ નામનો પહેલો અધ્યાય પૂરો.