નચિકેતા

Home


આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઉપદેશ શીખવવા માટે વાર્તાઓનો ઉપયોગ કરેલો હોય છે. જેમ કે કઠોપનિષદ માં નચિકેતા ની વાત. અંતમાં યમરાજે તેના ત્રીજા પ્રશ્નનો જે જવાબ આપ્યો તે સુયોગ્ય હતો એમ માની લઈએ. પણ આખો પ્રસંગ કેટલો ઘૃણાસ્પદ અને હાસ્યાસ્પદ છે તે વિચારવા જેવું છે.


વાજશ્રવસ ઋષિ દાન આપતા હતા? ઋષિઓ તો અકિંચન હોય, તે દાન આપે? દસ જ વરસનો પુત્ર તેમની ભૂલ કાઢે? ક્રોધ કરે તેને ઋષિ કહેવાય? યમરાજ ક્યારેય દાન લે? આ પ્રસંગે તેમણે દાન માગ્યું હતું? ના માગનારને દાન આપી શકાય? છોકરો યમને શું કામ લાગે? આમ જુઓ તો પિતાએ ખૂબ ઘૃણાસ્પદ અવિચારી કામ કરેલું. નચિકેતા નીકળી પડ્યો યમના ઘરે જવા. યમરાજ કોઈ ઘરમાં રહેતા હોય? ને રહેતા હોય તો ત્રણ દિવસ સુધી બહાર હોય? અને તેના ઓટલે ખાધા પીધા વગર બેસી રહેવાનું હોય? આ બધું હાસ્યાસ્પદ વર્તન કર્યું. આખી વાર્તા વાહિયાત છે. પણ તેનો હેતુ યમે જે જ્ઞાન નચિકેતાને આપ્યું તે વાંચકોને પહોંચાડવાનો છે. અર્થાત વાર્તા પડીકું (packaging) છે. ખરેખર જોવા જાવ તો તેની કશી જરૂર જ નથી. તે જ્ઞાન સીધેસીધું જણાવી શકાય તેવું છે.


આવા ઘણા પડીકાઓ આપણા શાસ્ત્રોમાં છે. તેમના હેતુ સારા હોય છે. પણ આપણે તે પડીકાઓના મોહમાં પડી જઈએ છીએ અને તેમની મારફત આવેલા જ્ઞાન પ્રત્યે ધ્યાન આપતા નથી. હીરાનો સેટ ઝીપલોક બેગમાં ના મુકાય, તેના બોક્સમાં જ મુકવો જોઈએ. પરંતુ તે ટપાલમાં આવ્યો હોય તો તેના પેકીંગ માટે વપરાયેલા સ્ટાયરોફૉમ, બબલ રૅપ કે બીજી વસ્તુઓ તો ફેંકી જ દેવાની હોય ને? કોઈ સંદેશવાહક પશુ કે પક્ષી આવ્યું હોય તો સંદેશો સાચવીને તેને તો છોડી દેવાનું હોય, પાસે રાખીને પાળવાનું ના હોય. આપણે તો પુષ્પક વિમાન, રામ સેતુ વગેરે ના પ્રેમમાં એવા પડી ગયા છીએ કે તેમને આપણા પ્રાચીન પૂર્વજો ની મહાન સિદ્ધિઓ તરીકે બિરદાવીએ છીએ. ગણેશજી ના ધડ પર હાથીનું માથું ચોંટાડ્યું તેને વિશ્વનું પહેલું ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ પણ ભૂલી જઈએ છીએ કે તેમ કરવાની જરૂર કેમ પડી. એવો કેવો ગુસ્સો કે અજાણ્યા બાળકનું માથું વાઢી નાખ્યું? કેટલી બધી બેદરકારી કે માથું એવું ખોવાઈ ગયું કે જડ્યું જ નહિ?


પડીકા ફેંકી દેવાનો આરંભ કરીશું ખરા? ક્યારે?


Home