સમજ્યા વિના અને જાત અનુભવ વિના સ્વીકારી લેવું.
ઘણા ખરા મિત્રો બાબતમાં એવું બનેલું જોવા મળે છે કે જીવનના અમુક ક્ષેત્રમાં ધારી સફળતા મળે નહીં અને હતોસ્તાહ બની ગયા હોય તેવા ગાળામાં ' જીવન અધિકાંશ દુખ-દર્દ થી ભરેલું છે ' એવા અભિગમ વાળા કહેવાતા આધ્યાત્મિક મહાપુરુષોનું સાહિત્ય તેમના હાથે ચઢી ગયું હોય. તેમના ઘવાયેલા અહમ ભાવને આવા સાહિત્ય માંથી થોડો સધ્યારો મળે છે અને તેઓ દુખને કેન્દ્રમાં રાખી તેમાથી છટકવાના રસ્તા શોધવાની માનસિકતાથી આદ્યાત્મ માં પ્રવેશે છે.
આપણે જે તે સમયે આદ્યાત્મ વિષે જે વાંચ્યું -સાંભળ્યું હોય તેને સામાન્ય બુદ્ધિથી પરખ્યા સિવાય માની લેવું.. એટલું જ નહિ તે વિષે માનસિક ગ્રંથી કે માન્યતા પાકી કરી લેવી તે બાબત આદ્યાત્મને સમજવામાં સૌથી મોટી અડચણ છે.
જરા જુઓ તો ખરા, કેવી કેવી અટપટી વાતો આપણને આદ્યાત્મિકતા નામે ઠસાવી દેવામાં આવી છે ..!!!
આપણે આધ્યાત્મિકતાની આ તથાકથિત લાક્ષણીકતાઓ ની ઉલટ-તપાસ કરવી પડશે. આમ કરીશું ત્યારેજ આપણે સાધારણ વ્યક્તિનું જીવન ઉન્નત બનાવે તેવી આધ્યાત્મિકતાની પદ્ધતિ કે પ્રક્રિયા શોધી શકીશું.
બીંબા ઢાળ માનસિકતા
Mental Conditioning
એક નાના ગામમાં એક બ્રાહ્મણ રહેતો. આજુ બાજુના ગામમાં કર્મકાંડ અને કથવાર્તા કરી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તે નજીકના ગામે એક ખેડૂતને ઘેર કથા કરવા ગયો. ખેડૂત પાસે દક્ષિણમાં આપવા માટે નગદ પૈસા ન હોવાથી તેણે બ્રાહ્મણને એક ગાય દક્ષિણમાં આપી. ગાય લઈ ને બ્રાહ્મણ પોતાને ઘેર આવવા ચાલી નીકળ્યો. ગામ પહોંચતા પહોંચતા સાંજ પાડવા આવી. સિમમાંથી ગામના પાદર તરફ તે આવી જ રહ્યો હતો ત્યાં તેને ગામના 3 બદમાસ માણસો સામે મળ્યા. રામ રામ કરી તેઓ આગળ ગયા. પછી બ્રાહ્મણ પાસેની ગાય ઉપર તેમની નિયત બગડી. પણ બ્રાહ્મણ તેમને ઓળખતો હોવાથી ખુલ્લી દાદાગીરી કરીને ગાય લૂંટી લેવાનું શક્ય ન હતું આથી તેમણે એક યુક્તિ કરી. ત્રણેય વગડામાંથી છુપાતા છુપાતા ફરી પાછા પેલા બ્રાહ્મણને સામે મળે છે.
પોતાના મો ઉપર કપડું ઢાંકી પહેલા ઠગે બ્રાહ્મણને નમસ્તે કર્યું અને સહેજ ખચકાઈ ને પુછ્યું.. " ભૂદેવ આ ગધેડું લઈને ક્યાં ચાલ્યા ? " બ્રાહ્મણ બોલ્યો " જા ભાઈ જા...આતો ગાય છે..!! "
પછી બીજો ઠગ સામે ચાલીને આવ્યો અને તેમની તરકીબ મુજબ બ્રાહ્મણને નમસ્તે કર્યું અને પુછ્યું.. " ભૂદેવ આ ગધેડું ક્યાથી લઈ આવ્યા ? " બ્રાહ્મણ બોલ્યો " નારે ભાઈ ગધેડું નથી ...આતો ગાય છે..!! "
પછી ત્રીજો ઠગ સામે ચાલીને આવ્યો અને બોલ્યો .. " શું જમાનો આવ્યો..! ભૂદેવ થઈને ગધેડું લઈ આવ્યા ? " ..એમ કહી તે આગળ ચાલી ગયો..
હવે બ્રાહ્મણ ને લાગ્યું કે નક્કી વગડામાથી કોઈ ભૂતે કરતૂત કરી મારી ગાય ને ગધેડું બનાવી દીધું છે..આ બધા કાંઇ ખોટું થોડું બોલવાના હતા.. ગામમાં જાઉં અને લોકો જોશે તો ફજેતો થશે.. તેમ વિચાર કરી છેવટે બ્રાહ્મણે ગાય સિમમાં જ છોડી મૂકી..
પેલા ઠગો ગાય લઈને છૂમંતર થઈ ગયા તે કહેવાની જરૂર છે ?
આ વાતમાંથી આપણે સમજી શકીએ છીએ કે એક જ વાત વારંવાર કહેવામાં આવે તો તેને આપણે સાચી માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. આપણું મન એવી જ રીતે વિચાર કરવાના ઢાંચામાં બેસી જાય તેવું બની શકે. આપણી સમજણ નું આવું કંડીશનિંગ છેક નાનપણથી શરુ થઇ જાય છે.