ભારતીય જ્યોતિષ જેને હવે આપણે વેદિક જ્યોતિષ પણ કહીએ છીએ - હું સન્માન કરુંછું અને સાથે સાથે તેમાં રહેલ તથ્યો ને તર્ક ની એરણ પર ચકાસુ છું. જ્યાં તાર્કિક આધાર ની ઉણપ વર્તાય ત્યાં તેનો સ્વીકાર કરવા નું મુલતવી રાખુછું

મને મારા અંગત અનુભવમાં એમ જણાયું છે કે ભારતીય જ્યોતિષ જે સ્વરૂપમાં આજે પ્રચલિત છે તેને ' વેદ ની આંખ ' કહી શકાય તેમ નથી આજે આ શાસ્ત્રનો ઉપયોગ આધ્યાત્મિક ને બદલે ભૌતિક જીવન ના પ્રશ્નો ના ઉકેલ મેળવવા થઇ રહ્યો છે. જોકે તેમાં જ્યોતિષીઓ ની લાલચ કરતા યુગ-પરિવર્તન વધુ જવાબદાર છે. આ પરિપેક્ષ માં આધ્યાત્મિક નિયમો ને ભૌતિક હેતુઓ માટે ઉપયોગી બનાવવા જરૂરી રૂપાંતર કરવા બદલ કલિયુગ નાં જ્યોતિષીઓ ને આપણે જ્યારે બિરદાવીએ ત્યારે તેઓ આ રૂપાંતર પ્રક્રિયા માં જડતા કે 'લાકડે માકડું' વળગાડવા ની વૃત્તિ ને શરણે ન થઇ જાય તેટલી જાગૃતિ દાખવે તેવી અપેક્ષા રાખવી અસ્થાને નહી લેખાય. આપણી સંસ્કૃતિ ની મહાનતા વિષે બે મત નથી પરંતુ તેમાં રહેલ મર્યાદાઓને પણ શોભા ગણવાનું ઉચિત નથી. ઋષિ-મુનીઓ ના વારસા માં કશુંય ઉમેર્યા વિના માત્ર તેના દંભ ને પોષતા રહેવાથી આપણે જે સંસ્કૃતિ નું નિર્માણ કરીશું તે આપણને અવનીતી ની દિશા માં લઇ જનારી હશે.

આપણે એ વાત સ્વીકારવી પડશે કે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી વિસંગતતાઓ છે.જ્યાં સુધી આપણે જ્યોતિષ નાં નિયમોને તર્કસંગત નહિ બનાવીએ ત્યાં સુધી આપણે તેને 'વિજ્ઞાન' હોવાનું ગૌરવ અપાવી શકીશું નહિ. ત્યાં સુધી સમાજના પ્રબુદ્ધ્ વર્ગની માન્યતા મેળવી શકીશું નહીં.

મારા વર્ષો ના અભ્યાસ અને સંશોધન દરમ્યાન જ્યોતિષ શાસ્ત્ર ની મર્યાદાઓ અને તેના કારણો વિષે મેં અનુભવ્યું છે કે પ્રાચીન શાસ્ત્રો ની પ્રસ્તુતિ સૂત્રબદ્ધ છે. શાસ્ત્રો નાં દ્રષ્ટાઓએ સુત્રો ની રચના જે તે કાળના તેમના અનુયાયી શિષ્યો ની બુદ્ધિમત્તા અનુસાર કરી છે. સંસ્કૃત ભાષાની ગહેરાઈ એ જ્યોતિષ શાસ્ત્રની ગૂઢતામાં વધારો કરેલ છે. વળી તે સમયે મુદ્રણ કે પુસ્તક ની વ્યવસ્થા ન હતી. આ પરિસ્થિતિ માં સહેલાઈથી મુખપાઠ કરી શકાય તે રીતે વિષય નું નિરૂપણ થાય તે સ્વાભાવિક માની શકાય. આ ઉપરાન્ત, શાસ્ત્ર ને અસુરો, મલેચ્છો અને કુપાત્રો ના હાથમાં જતા રોકવાના હેતુથી પણ સુત્રો ની રચના અટપટી કરવામાં આવતી. પ્રાચીન શાસ્ત્રોની રચના ની આ ખાસ વિશિષ્ટતાઓ જ આજે તેની મર્યાદાઓ ઉભી કરવામાં મોટો ભાગ ભજવે છે.


આજે ઋષિ-મુનિઓના શિષ્યો ના વંશજો ની સંખ્યા અનેક ગણી વધી છે પરંતુ વેદિક કાળ ની મેધા તેઓમાં શોધી જડે તેમ નથી. સંસ્કૃત ભાષા તેની સાચી ગરીમા અને ઉડાઈ થી સમજી શકે તેવા માણસો નામ શેષ થતા જાય છે. જે થોડા આ ભાષા અને શાસ્ત્ર સમજી શકેછે તેઓ જીવન નિર્વાહ ની હાયવોય માં તેને કમાણીનું સાધન બનાવે તેમાં શું નવાઈ હોય?

જયારે આપણે અન્ય વિષયો સાથે જ્યોતિષ ની એક વિષય તરીકે તુલના કરીએ ત્યારે સૌથી મોટી જે તૃટી ઉડી ને આંખે વળગે છે તે એ છે કે જ્યોતિષ વિષય નો અભ્યાસ કરવા માટે નું કોઈ સર્વગ્રાહી પ્રમાણિત પુસ્તક નથી કે નથી કોઈ વ્યવસ્થીત અભ્યાસક્રમ. વિદ્વાનો પોત પોતાની અનુકુળતા અને માન્યતા મુજબ આગવા નિયમો બનાવી ગાડું ગબડાવતા જોવા મળે છે. કોઈ ઘટના બની જાય પછી ' આ તો અમે ભાખેલું..!' એમ કહી બડાશ મારનાર વિદ્વાનો નો કોઈ તોટો નથી. વળી ઘટનાઓ નું પૃથક્કરણ જ્યોતિષ નિયમો ને આધારે કરી પોતાની વિદ્વતા છતી કરવા જ્યોતિષ સંમેલનોમાં જાણે હોડ લાગે છે. ધન ઉપાર્જન નું દબાણ કહો કે ઘેલછા એટલી વકરી ચુકી છે કે પ્રમાણિકતા થી નિયમોને સંશોધિત કરવા માટે કોઈ ની પાસે સમય જ નથી. કુંડળી ના ગ્રહો નું બળાબળ, તેમના પરસ્પર સંયોગ વગેરે બાબતો નું તાર્કિક વિશ્લેષણ કરવાને બદલે જે તે બાબત પર જુના ગ્રંથો માંથી સંસ્કૃત શ્લોક નો સંદર્ભ આપી દઈ ઇતિશ્રી કરી દેનારા વિદ્વાનો ની સંખ્યા વધતી જાય છે. જ્યોતિષ સેમિનાર અને સંમેલનો ની સંખ્યા વધતી જાયછે તે આનંદ ની વાત છે પરંતુ આંગળી નાં વેઢે ગણી શકાય તેવી જુજ સારી સંસ્થાઓને બાદ કરતા મોટે ભાગે તો આ સંમેલનો નો ઉદ્દેશ તેમના સભ્યોને વિવિધ પ્રમાણપત્ર અને ઉપાધીયોથી સન્માની તેઓનું વ્યવસાયિક મૂલ્ય વધારવાનું હોય છે.

આ પરિસ્થિતિ માં એવું જરૂર કહી શકાય કે જ્યોતિષ વિજ્ઞાન હોય કે કળા, જયારે તેનો ઉપયોગ ધન્ધાદારી બની ગયો છે ત્યારે તેના વ્યવસાયિકો ને માન્યતા આપનાર કોઈ પ્રમાણિત સંસ્થા દેશમાં જરૂર હોવી જોઈએ. જાહેર પ્રસારણ માધ્યમ ઉપર ભવિષ્યવાણી કરનારા દરેક જ્યોતિષી માટે પોતાની ભવિષ્યવાણી કોઈ સંસ્થા પાસે નોધ કરાવવાનું ફરજીયાત ન હોવા છતાં એમ કરી તેઓ જ્યોતિષ વિષય ની સેવા કરી શકે છે. જેમ સરકારી આયોગો ના હિસાબો અને કામગીરી ની સમીક્ષા કરનાર ઓડીટર જનરલ હોય છે તેમ ટીવી ઉપર જ્યોતિષ આગાહીઓ ની સમીક્ષા કરનાર કોઈ સંસ્થા હોવી જ જોઈએ. અન્યથા સામાન્ય માણસનું જ્યોતિષ ના સિદ્ધાંતો વિષે નું અજ્ઞાન અને સામે પક્ષે જ્યોતિષી ની ચાલાકી બંને મળી છેતરપીંડી માટે અનુકુળ સંજોગો ઉભા કરે છે.

ભારતીય જ્યોતિષ સંબંધી આવી બાબતો ઉપર વિચાર-વિનિમય અર્થે અહી એક માધ્યમ ઉભું કરવાની નેમ છે. આપનાં સલાહ સુચનો આવકાર્ય છે.